Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

એક શરીરમાં બે કોરોના! ૯૦ વર્ષીય વૃધ્‍ધના મોતે વૈજ્ઞાનિકોની ચિંતા વધારી

મહિલાના શરીરમાં મળ્‍યો કોરોનાનો આલ્‍ફા અને બીટા વેરિયન્‍ટ, ૫ દિવસમાં જ મોત, ડબલ ઈન્‍ફેક્‍શન પર વેક્‍સીન કેટલી અસરકારક રહેશે? : વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર, બેલ્‍જિયમમાં મળેલા કેસે એક્‍સપર્ટ્‍સનું ટેન્‍શન વધાર્યું: મહિલાના મોત પછી ટેસ્‍ટમાં સામે આવી વાત, હવે કોરોનાની રસીને લઈને પણ પ્રશ્નો

બેલ્‍જિયમ,તા.૧૨: કોવિડ -૧૯ના ડબલ ઈન્‍ફેક્‍શનને લઈને નવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. બેલ્‍જિયમથી સામે આવેલા એક કેસથી એક્‍સપર્ટ્‍સમાં મૂંઝવણ વધી છે. ત્‍યાં એક ૯૦ વર્ષીય મહિલાને કોવિડ -૧૯ના બે જુદા જુદા વેરિયન્‍ટ્‍સનો ચેપ લાગ્‍યો હતો અને તેમનું મોત નીપજયું હતું. તેઓ યુકેમાં મળી આવેલા આલ્‍ફા અને દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા બીટા વેરિયન્‍ટથી સંક્રમિત થયા હતા. ડોકટરોના મતે આ પહેલો કેસ છે જેમાં એક શરીરમાં બે-બે કોરોના વેરિયન્‍ટ્‍સ છે.

વૈજ્ઞાનિકોના જણાવ્‍યા પ્રમાણે આસ્ત્રીને બે જુદા જુદા લોકોથી ચેપ લાગ્‍યો હશે. કેસ સામે આવ્‍યા બાદ હવે ઓ સવાલો પણ ઉભા થઈ રહ્યા છે કે, શું કોવિડના અલગ-અલગ વેરિયન્‍ટથી સંક્રમિત વ્‍યક્‍તિ પર રસી કેટલી અસરકારક રહેશે?

આ રિસર્ચ પેપર આ અઠવાડિયે યુરોપિયન કોંગ્રેસ ઓફ ક્‍લિનિકલ માઇક્રોબાયોલોજી અને ચેપી રોગો (UCCMIS)માં પ્રકાશિત થયો છે. આ મામલો પ્રકાશમાં આવ્‍યા બાદ ડબલ ઇન્‍ફેક્‍શનને તેમજ રસીની અસર વિશે લઈને નવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. એક જ વ્‍યક્‍તિને વાયરસના બે અલગ-અલગ વેરિયન્‍ટથી સંક્રમિત થવું એ ‘કો-ઈન્‍ફેક્‍શન' કહેવાય છે.

મહિલાનું મોત માર્ચ મહિનામાં થયું હતું. તેણીને રસી આપવામાં આવી ન હતી, એકલી રહેતી હતી અને ઘરે જ સાર સંભાળ રાખવામાં આવતી હતી. બ્‍લૂમબર્ગના એક અહેવાલ મુજબ જયારે તેમને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા ત્‍યારે ઓક્‍સિજનનું સ્‍તર બરાબર હતું પરંતુ પાંચ દિવસ પછી તેમનું મોત નીપજયું હતું.સ્ત્રીની શ્વસન પ્રણાલીની હાલત બગડતી ગઈ. પરીક્ષણો પરથી જાણવા મળ્‍યું કે તેમને બે કોવિડ સ્‍ટ્રેને સંક્રમિત કર્યા હતા.

રિસર્ચને લીડ કરી રહેલા મોલેક્‍યુલર બાયોલોજિસ્‍ટ એન્નેએ કહ્યું કે ‘આ સમયે બેલ્‍જિયમમાં આ બંને વેરિયન્‍ટ્‍સ (આલ્‍ફા અને બીટા) સર્ક્‍યુલેટ થઈ રહ્યા હતા. શક્‍ય છે કે મહિલાને બે જુદા જુદા લોકોથી જુદા જુદા વાયરસનો ચેપ લાગ્‍યો હોય. એન્નેએ વધુમાં કહ્યું કે, વિશ્વભરમાં ડબલ ઇન્‍ફેક્‍શનને ઓછો આંકવામાં આવી રહ્યો છે કારણ કે જોખમી વેરિયન્‍ટ્‍સનું પરીક્ષણ ઓછું થઈ રહ્યું છે અને જિનોમ સિક્‍વન્‍સીંગમાં કો-ઈન્‍ફેક્‍શન્‍સની ઓળખ સરળ નથી.

(11:28 am IST)