News of Friday, 12th January 2018
રાજકોટ, તા., ૧રઃ ૧૭મીએ અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ઇઝરાઇલના વડાપ્રધાન નેતન્યાહુનો એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીનો અંદાજે ૯ કી.મી.ના લાંબા રોડ શો માટે જાપાનના વડાપ્રધાનના ગત સાલ યોજાયેલા રોડ શો જેવો જ અભુતપુર્વ રોડ શો માટે એક ડીજી કક્ષાના, એક એડીશ્નલ ડીજી કક્ષાના તથા આઇજી અને ડીઆઇજી કક્ષાના સિનીયર અધિકારીઓના માર્ગદર્શનમાં ડીસીપીઓ તથા અન્ય નાના મોટા અધિકારીઓના માર્ગદર્શનમાં ફુલપ્રુફ સ્કીમ તૈયાર કરવા તંત્ર ગળાડૂબ બન્યું હોવાનું સુત્રો જણાવે છે.
સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ જાપાનના વડાપ્રધાનના રોડ શો દરમિયાન જાપાનના પોલીસ અધિકારીઓ જે રીતે બંદોબસ્તમાં સામેલ થઇ રૂટનું નિરીક્ષણ કરવા સાથે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તે મુજબ જ ઇઝરાઇલ પોલીસ પણ રોડ શોના બંદોબસ્તમાં સામેલ થઇ તમામે તમામ વિગતોથી વાકેફગાર થનાર હોવાનું બહાર આવ્યું છે.
વડાપ્રધાનના તથા ઇઝરાઇલના વડાપ્રધાનના સંયુકત રોડ શો તથા અન્ય કાર્યક્રમો અંતર્ગત દિલ્હીથી એસપીજીના ટોચના અધિકારીઓની સાથોસાથ વડાપ્રધાન કાર્યાલયના ઉચ્ચ અધિકારીઓ અને રોના પણ ચુનંદા અધિકારીઓ તુર્તમાં જ ગુજરાત આવનાર છે. રો સહિતની સેન્ટ્રલની તમામ એજન્સીઓ સેન્ટ્રલ આઇબી તથા સ્ટેટ આઇબી સાથે સંકલનમાં રહેશે. જે માટેની સૌથી મહત્વની જવાબદારી રાજયના સિનીયર મોસ્ટ ડીજી કક્ષાના શિવાનંદ ઝા સંભાળનાર હોવાનું બહાર આવ્યું છે. બ્લુ બુકના નિયમો અનુસાર વડાપ્રધાન તથા ઇઝરાઇલના વડાપ્રધાનને પીરસવામાં આવનાર તમામ ખોરાકો સાથે ચા-પાણી, નાસ્તા અને તે માટે વપરાનાર સામગ્રીઓની ચકાસણી કરવા માટે ફુડસ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પાંચ કમીટી પણ રચાઇ છે. ફુડ તૈયાર કરનાર રસોયાઓ તથા ત્યાં બંદોબસ્તમાં રહેનાર પોલીસ સ્ટાફ અંગે પણ સંપુર્ણ વિગતો તૈયાર કરવામાં આવી છે.
વડાપ્રધાન અને ઇઝરાઇલના વડાપ્રધાનના રોડ શોના રૂટમાં અંદાજે ૩પ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવશે. ભારતના વિવિધ પ્રાંતના વિવિધ રાજયોના સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા મીની ભારત દર્શન કરાવવામાં આવશે. ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને સંસ્કારીતા માટે પણ વિવિધ આઇટમો રજુ થશે.
સમગ્ર બંદોબસ્તનું સુકાન અમદાવાદના ડીજીપી કક્ષાના પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ તથા એડીશ્નલ ડીજીપી કક્ષાના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર ડો.કે.એલ.એન.રાવના માર્ગદર્શનમાં તથા અમદાવાદના એડીશ્નલ પોલીસ કમિશ્નર અશોક યાદવના નેતૃત્વમાં ડીસીપી કક્ષાના અધિકારી સહિત તાબાના નાના-મોટા સ્ટાફ દ્વારા સંભાળવામાં આવશે. રોડ શો દરમિયાન ટ્રાફીકની મુવેમેન્ટ સુવ્યવસ્થિત રહે, બેરીકેટ તોડી કોઇ બહાર ન આવે કે પછી રોડ શો દરમિયાન કાફલાની કોઇ ગાડી બગડે કે પંચર પડે કે તુર્ત જ તેને ત્યાંથી ઉપાડી લેવા માટે ખાસ ક્રેઇન પોઇન્ટો પણ ઉભા થનાર હોવાનું સુત્રો જણાવે છે. આમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ઇઝરાઇલના વડાપ્રધાનના ભવ્ય રોડ શો માટે અભુતપુર્વ પોલીસ બંદોબસ્તનું સુરક્ષાચક્ર રચાશે.