Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

રાજકોટમાં આજે વધુ ૨૨ને કોરોના ભરખી ગ્યો

શહેરમાં ૧૬, જીલ્લામાં ૩ તથા અન્ય જીલ્લામાં ૩ દર્દીઓનાં મોતઃ છેલ્લા ચાર દિવસમાં ૧૩૨ના મોત : સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી શહેરમાં ૧, જીલ્લામાં ૨ તથા અન્ય જીલ્લામાં ૧ મૃત્યુ નોંધાયા છેઃ આજ દિન સુધીમાં કુલ મૃત્યુ ૮૧ થયા

રાજકોટ, તા. ૧૧ :  વૈશ્વિક મહામારી કોરોનાએ રાજકોટમાં કાળો કેર વર્તાવ્યો છે. સતત થઇ રહેલા મૃત્યુ વચ્ચે આજે એક જ રાતમાં અધધધ ૨૨ દર્દીઓનો ભોગ લેવાઇ જતાં હાહાકાર મચી ગયો છે. શહેરમાં ૧૬, જીલ્લાનાં ૩ તથા અનય જીલ્લાના ૩ સહિત કુલ ૨૨ દર્દીઓના મોત થયા છે. તે સાથે છેલ્લા પાંચ  દિવસમાં મૃત્યુઆંક ૧૩૧ થઇ ગયો છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી શહેરમાં ૧, જીલ્લામાં ર તથા અન્ય જીલ્લામાં ૧ મૃત્યુ નોંધાયા છે. આજ દિન સુધીમાં કુલ મૃત્યુ ૮૧ થયા

રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ છેલ્લા ૨૪ કલાકમાં શહેર - જિલ્લાના ૨૨ દર્દીઓએ દમ તોડી દીધા હતો. આ સાથે છેલ્લા પાંચ જ દિવસમાં કોરોનાએ ૧૩૨ લોકોની જિંદગી છીનવી લીધી હતી. દરેક સરકારી તંત્રો કોરોનાને મ્હાત કરવામાં વામણા સાબિત થઇ રહ્યા છે અને બીજી તરફ લોકોના જીવ તાળવે ચોટી ગયા છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. યુવાન અને આધેડ પણ કોરોનાને કારણે કાળનો કોળીયો બની રહ્યા છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. લોકોએ જાતે જ સાવચેત રહેવું જરૂરી બન્યું છે.

 આમ છતાં રાજકોટ સિવિલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુનો આંક ઓછો થતો ન હોઇ લોકોમાં જબરો ફફડાટ વ્યાપી ગયો છે.

(11:13 am IST)