Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

પાકિસ્તાન : ૮ વર્ષના હિન્દુ છોકરાને મળી શકે છે મોતની સજા : ઇશનિંદાના આરોપમાં કેસ દાખલ

તેને ખોટી રીતે મામલામાં ફસાવવામાં આવી રહ્યો છે : તેને તે પણ ખ્યાલ નથી કે તેનો ગુનો શું છે?

ઇસ્લામાબાદ તા. ૧૦ : પાકિસ્તાનમાં એક ૮ વર્ષના હિન્દુ બાળકને મોતની સજાનો સામનો કરવો પડી શકે છે. હકીકતમાં આ બાળક વિરુદ્ઘ ઈશનિંદા વિરૂદ્ઘ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં દોષીતને સજા-એ-મોતની જોગવાઈ છે. પાકિસ્તાનમાં આ પ્રથમ મામલો છે, જયાં ઈશનિંદાના આરોપમાં કોઈ બાળક પણ કેસ ચલાવવામાં આવશે. થોડા દિવસ પહેલા બાળકને કોર્ટે જામીન આપી દીધા હતા, જેના વિરોધમાં પંજાબ પ્રાંતના રહીમ યાર ખાન જિલ્લામાં કટ્ટરપંથીઓની ભીડે હિન્દુ મંદિર પર હુમલો કરી દીધો હતો.

ગણેશ મંદિર પર હુમલા બાદથી હિન્દુઓમાં ડર વધુ છે અને મોટાભાગના લોકો રહીમ યાર ખાન જિલ્લાથી પલાયન કરી રહ્યાં છે. આરોપ છે કે બાળકે મદરેસાની લાઇબ્રેરીમાં પેશાબ કર્યું હતું, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. બાળકને એક સપ્તાહ જેલમાં રાખ્યા બાદ કોર્ટે તેને જામીન આપી દીધા, જેનો કટ્ટરપંથીઓ વિરોધ કરી રહ્યાં છે.

તો રહીમ યાર ખાન જિલ્લાના ભોંગમાં અર્ધસૈનિક દળોની તૈનાતી કરવામાં આવી છે. અહીં મંદિર પર હુમલા બાદ હિન્દુ લોકો ખુબ ડરેલા છે અને પોતાના ઘરો છોડી જઈ રહ્યાં છે. રિપોર્ટમાં પીડિત પરિવારની 'ધ ગાર્જિયન' સાથે થયેલી વાતચીતનો પણ ઉલ્લેખ છે. પરિવારનું કહેવું છે કે તેના બાળકને ઈશનિંદા વિશે કંઈ ખ્યાલ નથી, તેને ખોટી રીતે મામલામાં ફસાવવામાં આવી રહ્યો છે. તેને તે પણ ખ્યાલ આવ્યો નથી કે તેનો ગુનો શું છે અને કેમ તેને એક સપ્તાહ માટે જેલમાં રાખવામાં આવ્યો.

પીડિત પરિવારે આગળ કહ્યું- અમે અમારી દુકાન અને કામ છોડી દીધુ છે. હિન્દુ સમાજ ડરેલો છે. અમે તે વિસ્તારમાં જવા ઈચ્છતા નથી. અમને લાગતું નથી કે અલ્પસંખ્યકની સુરક્ષા માટે કંઈ કરવામાં આવશે કે ગુનેગારો વિરૂદ્ઘ કાર્યવાહી થશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના ઈશનિંદા કાયદાની લાંબા સમયથી માનવાધિકાર સંગઠન ટીકા કરી રહ્યાં છે. હાલના કેસ બાદ પણ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.

(10:21 am IST)