News of Friday, 10th June 2022
નવી દિલ્હી તા. ૧૦ : પયગંબર સાહેબ મોહમ્મદ વિરૂદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણીનો વિવાદ અટકતો જણાતો નથી. શુક્રવારની નમાજ બાદ દેશના અનેક શહેરોમાં નૂપુર શર્મા વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શનો થયા હતા. આ દરમિયાન પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે ઘણી મહેનત કરવી પડી હતી.
દિલ્હીની જામા મસ્જિદથી લઈને કોલકાતા અને યુપીના ઘણા શહેરોમાં નૂપુર શર્મા અને નવીન જિંદાલ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શનો થયા હતા. યુપીની રાજધાની લખનૌ ઉપરાંત દેવબંદ, પ્રયાગરાજ અને સહારનપુરમાં નૂપુરની ધરપકડની માંગને લઈને ભારે હોબાળો થયો હતો. પોલીસે દેવબંદમાં પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે.
જામા મસ્જિદ ખાતે દેખાવકારોએ નુપુર શર્મા અને નવીન જિંદાલ સામે કાર્યવાહીની માંગ કરી હતી. આ સાથે લોકોએ જોરદાર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જો કે પોલીસનું કહેવું છે કે હાલ સ્થિતિ કાબુમાં છે. જામા મસ્જિદના શાહી ઈમામનું કહેવું છે કે તેઓ આ વિરોધ અંગે કંઈ જાણતા નથી. તેમજ મસ્જિદ દ્વારા કોઈ વિરોધ પણ બોલાવવામાં આવ્યો ન હતો.
જામા મસ્જિદના શાહી ઈમામે કહ્યું, તેમને ખબર ન હતી કે જામા મસ્જિદની બહાર આ પ્રકારનું પ્રદર્શન થવાનું છે. તેમ જ જામા મસ્જિદ દ્વારા વિરોધ બોલાવવામાં આવ્યો ન હતો, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું, કેટલાક લોકોએ જામા મસ્જિદ ચોક એટલે કે ગેટ નંબર એક પર નારા લગાવવાનું શરૂ કર્યું. કોણ છે આ લોકો, પોલીસ શોધી કાઢશે. પોલીસને ખબર પડશે કે આ લોકો કોણ છે અને કોણે આ સૂત્રોચ્ચાર કર્યા છે. કોઈ જાણતું ન હતું, મને લાગે છે કે પોલીસને પણ ખબર નહોતી કે પ્રદર્શન થવાનું છે.
શુક્રવારની નમાજ બાદ યુપીના લખનૌ, પ્રયાગરાજ, સહારનપુર અને દેવબંદમાં નુપુર શર્મા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા હતા. આ દરમિયાન ભારે સૂત્રોચ્ચાર પણ થયો હતો. દેવબંદમાં પોલીસે કેટલાક લોકોને કસ્ટડીમાં પણ લીધા છે. લોકોને કાબૂમાં લેવા માટે પોલીસને ઘણી મહેનત કરવી પડી હતી.
મુરાદાબાદના મુગલપુરા વિસ્તારમાં શુક્રવારની નમાજ બાદ અચાનક કેટલાક લોકો ચોકડી પર આવીને પ્રદર્શન કર્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પહોંચેલી પોલીસે તમામને શાંત પાડીને ઘરે મોકલી દીધા હતા.
ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માએ એક ટીવી ડિબેટમાં પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ પછી વિવાદ ઘણો વધી ગયો. આરબ દેશોએ પણ નૂપુર શર્માની ટિપ્પણીની નિંદા કરી હતી. આ પછી ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા. વિવાદ વધ્યા બાદ નુપુર શર્માએ માફી પણ માંગી હતી અને પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું. તેણે કહ્યું હતું કે, હું મારા શબ્દો પાછા લઉં છું. તેણે કહ્યું કે મારો ઈરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો, જો મારા શબ્દોથી કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું મારા શબ્દો પાછા લઉં છું. બીજી તરફ નૂપુર શર્માના કેસને જોતા દિલ્હી પોલીસ કડક બની છે. તાજેતરમાં જ દિલ્હી પોલીસે નુપુર શર્મા, અસદુદ્દીન ઓવૈસી સહિત ૩૨ લોકો સામે ભડકાઉ ટિપ્પણી કરવા બદલ કેસ નોંધ્યો હતો.
બીજેપીના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા, નવીન જિંદાલ, અસદુદ્દીન ઓવૈસી, શાદાબ ચૌહાણ, સબા નકવી, મૌલાના મુફતી નદીમ, અબ્દુર રહેમાન, ગુલઝાર અન્સારી પર દિલ્હી પોલીસના સાયબર યુનિટ દ્વારા અલગ-અલગ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરીને વાતાવરણ બગાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. યતિ નરસિમ્હાનંદ, દાનિશ કુરેશી, વિનીતા શર્મા, અનિલ કુમાર મીના અને પૂજા શકુન સામે કેસ નોંધવામાં આવ્યો છે.