Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

૮૦ હજાર માસિક સ્કોલરશીપ સ્કીમને આખરે મળેલ બહાલી

ઉચ્ચ શિક્ષણ સંસ્થાના વિદ્યાર્થીઓ માટે મોટી પહેલ : કુશળ લોકોને વિદેશ જતા રોકવાના હેતુથી કેન્દ્રીય કેબિનેટે કુશળ વિદ્યાર્થીઓ માટે પીએમ રિસર્ચ ફેલોશીપને મંજુરી

નવીદિલ્હી,તા.૯ : દેશની પ્રતિભાઓને વિદેશ જવા રોકવા માટે કેન્દ્રીય કેબિનેટે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓના વિદ્યાર્થીઓ માટે પીએમ રિસર્ચ ફેલોશીપને મંજુરી આપી દીધી છે. આઈઆઈટી, આઈઆઈએસઇઆર અને એનઆઈટી જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ માટે દેશની આ હજુ સુધીની સૌથી મોટી સ્કોલરશીપ યોજના રહેશે. પીએમઆરએફ હેઠળ ચૂંટી કાઢવામાં આવેલા સ્કોલર્સ માટે ૭૦૦૦૦ રૂપિયાથી ૮૦૦૦૦ રૂપિયા સુધીની માસિક સ્કોલરશીપ અને બે લાખ રૂપિયા સુધીની વાર્ષિક રિસર્ચ ગ્રાન્ટ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે ત્રણ વર્ષની અવધિ માટે ૧૬૫૦ કરોડ રૂપિયાના ફંડને આપવા માટે લીલીઝંડી આપી દીધી છે. રિસર્ચની ઇચ્છા રાખનાર એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટને વધુ એક તક આપવામાં આવશે. પીએમઆરએફ માટે શોર્ટલીસ્ટ થયેલા આઈઆઈટી, આઈઆઈએસઇઆર, આઈઆઈઆઈટી અને એનઆઈટીના બીટેક ગ્રેજ્યુએટ અથવા તો અન્ય વિદ્યાર્થીઓને આ રાહત મળી શકશે. આ યોજના હેઠળ ૧૦૦૦ વાર્ષિક સ્કોલરશીપ ઉપરાંત સરકાર આઈઆઈટી અને આઈઆઈએસસીમાં રિસર્ચ સાથે જોડાયેલી સુવિધાઓને અપગ્રેડ કરવા પર ધ્યાન આપશે. કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. પીએમ રિસર્ચ ફેલોશીપ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ થશે. આમા ચૂંટી કાઢવામાં આવેલા સ્કોલર્સને પહેલા બે વર્ષ સુધી ૭૦૦૦૦ રૂપિયા દર મહિને, ત્રીજા વર્ષે ૭૫૦૦૦ રૂપિયા દર મહિને અને ચોથા અને પાંચમા વર્ષે ૮૦૦૦૦ રૂપિયા દર મહિને ચુકવવામાં આવશે. ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અને સેમિનારમાં રિસર્ચ પેપર રજૂ કરવા માટે વિદેશયાત્રા ખર્ચ માટે પાંચ વર્ષ સુધી દર વર્ષે બે-બે લાખ રૂપિયા રિસર્ચ ગ્રાન્ટ આપવામાં આવશે. સ્કીમ હેઠળ વર્ષમાં ૧૦૦૦ સ્કોરશીપ આપવામાં આવશે. આ સ્કીમ હઠળ લા લેવા માટે ઓછામાં ઓછી યોગ્યતા ૮.૫ સીજીપીએ જરૂરી રહેશે. મોદી સરકારની આ સ્કીમને ખુબ મોટી પહેલ તરીકે ગણવામાં આવે છે. કુશળ લોકોને વિદેશ જતા રોકવા માટે આ પહેલ આગામી દિવસોમાં અસરકારક સાબિત થઇ શકે છે. બજેટમાં આ અંગેની જાહેરાત કરવામાં આવ્યા બાદ આ દિશામાં ઝડપથી કામ થઇ રહ્યું છે.

(7:38 pm IST)