Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

મહારાષ્ટ્રમાં 2024માં ફરી મહા વિકાસ આઘાડી સરકાર જીતશે ચૂંટણી: ઉદ્ધવ ઠાકરે જ બનશે સીએમ: શરદ પવાર

પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા જીતેન્દ્ર આવ્હાડે કહ્યું કે હવે ગઠબંધન સરકારનો કોઈ વિકલ્પ નથી

મુંબઈ : મહારાષ્ટ્રના હાઉસિંગ મિનિસ્ટર અને NCPના નેતા જીતેન્દ્ર આવ્હાડે દાવો કર્યો છે કે તેમની પાર્ટીના સુપ્રીમો શરદ પવારે કહ્યું છે કે મહા વિકાસ અઘાડી સરકાર 2024માં ફરી એકવાર ચૂંટણી જીતશે અને ઉદ્ધવ ઠાકરેને ફરીથી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનાવવામાં આવશે. જિતેન્દ્ર આવ્હાડેએ બુધવારે સાંજે પાર્ટી કાર્યકર્તાઓની બેઠકને સંબોધિત કરતા આ વાત કહી. પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા જીતેન્દ્ર આવ્હાડે કહ્યું કે હવે ગઠબંધન સરકારનો કોઈ વિકલ્પ નથી.

મહારાષ્ટ્રમાં વર્ષોથી એક પણ પક્ષની સરકાર નથી. ભાજપને દૂર રાખવા માટે મહા વિકાસ આઘાડી (MVA) એ એકસાથે આવવાની જરૂર છે. MVA ના આર્કિટેક્ટ શરદ પવારે ક્યારેય કોઈ મુદ્દા પર મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પર દબાણ કર્યું નથી અને અમને તેમને યોગ્ય સન્માન આપવા અને તેમને પોતાના નિર્ણયો લેવાની મંજૂરી આપવા કહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે થાણે જિલ્લાના સંરક્ષક મંત્રી એકનાથ શિંદે એનએમએમસી (NMMC) ચૂંટણી માટે એમવીએ (MVA) એકતાને સંપૂર્ણ સમર્થન આપે છે, તેમણે નવી મુંબઈમાં ગઠબંધન એકતાનું પાલન ન કરવા બદલ શિવસેનાને દોષી ઠેરવી છે. તેમણે કહ્યું કે પાર્ટી કાર્યકર્તાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા અને NCP નેતાઓને યોગ્ય સન્માન આપવામાં આવતું ન હતું.

ઓબીસી અનામતના મુદ્દે ભાજપ પર પ્રહાર કરતા આવ્હાડએ કહ્યું કે, અમારે ઓબીસી અનામત માટે કેન્દ્ર સરકારને ડેટા આપવો પડશે. જોકે તે આ મુદ્દે રાજનીતિ કરી રહી છે. તેઓ નથી ઈચ્છતા કે OBC આગળ વધે, જે મહારાષ્ટ્રની વસ્તીના 51 ટકા છે.

કોંગ્રેસ અને શિવસેના ઉત્તર પ્રદેશ અને ગોવામાં વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન પર વિચાર કરી રહ્યા છે. શિવસેના સાંસદ સંજય રાઉતે બુધવારે આ માહિતી આપી હતી. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મળ્યા બાદ તેમણે આ વાત કહી. આ બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે. આ રાજ્યોમાં આવતા વર્ષની શરૂઆતમાં ચૂંટણી યોજાવાની છે. તમને જણાવી દઈએ કે શિવસેનાએ 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી 57 સીટો પર લડી હતી. પરંતુ તેને કોઈ સફળતા મળી ન હતી.

(12:13 am IST)