Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

૮૦ ટકા મૃત્યુમાં પાયલટની ભૂલ

આઝાદી બાદ અત્યાર સુધીમાં હવાઇ દુર્ઘટનામાં ૨,૧૭૩ લોકોએ જીવ ગુમાવ્યા

 

નવી દિલ્હી તા. ૯ : તમિલનાડુના કુન્નુરમાં બુધવારે વાયુ સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત અને તેમની પત્ની સહિત સેનાના કેટલાય અધિકારીઓ હાજર હતા. કહેવાઈ રહ્યું છે કે હેલિકોપ્ટરમાં ૧૪ લોકો સવાર હતા, જેમાંથી ૫ મૃતદેહો મળી આવ્યા છે. જણાવી દઈએ કે આઝાદી પછીથી અત્યારસુધીમાં કમર્શિયલ વિમાન દુર્ઘટનામાં કુલ ૨,૧૭૩ લોકોના મૃત્યુ થઈ ચૂકયા છે. એટલું જ નહીં, આ દુર્ઘટનામાં ૮૦ ટકા મૃત્યુમાં પાયલટની ભૂલ મોટું કારણ બન્યું હોય તેવું સામે આવ્યું છે. આમાં પાયલટના એકશન અને નિર્ણયો બંને મોજૂદ હોઈ શકે છે. આ આંકડા એવિએશન સેફટી નેટવર્ક તરફથી જારી આંકડાની મદદથી બનાવવામાં આવ્યા છે.

એવિએશન સેફટી નેટવર્ક એક ખાનગી કંપની છે જે હવાઈ દુર્ઘટના, વિમાનોના અપહરણ કે હાઇજેક જેવી ઘટનાઓ પર નજર રાખે છે. એવિએશન સેફટી નેટવર્કના વિશ્લેષણમાં ફકત પેસેન્જર ફલાઈટ અને એ દુર્ઘટનાને લેવામાં આવી છે, જેમાં ઓછામાં ઓછા એક મુસાફર કે એક પાયલટનું મૃત્યુ થયું હોય. આ એનાલિસીસમાં ચાર્ટર્ડ ફલાઈટ, પ્રશિક્ષિત ફલાઇટ્સ, કાર્ગો ફલાઇટ્સ અને નોન-પેસેન્જર ફલાઇટ્સ સામેલ નથી કરવામાં આવી.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાસેથી પ્રાપ્ત થયેલા આંકડા અનુસાર, ૧૯૯૫-૯૬ થી લઈને અત્યારસુધી એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં ૧૦ ગણો વધારો થયો છે. જોકે, પહેલાની સરખામણીમાં વિમાન અકસ્માતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

૨૦૧૧-૨૦૨૦ના સમય હવાઈ દુર્ઘટનાઓને લઈને આઝાદી પછીનો સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ દરમ્યાન ફકત કોઝિકોડ એરપોર્ટ પર પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું. મે ૨૦૧૦માં એક એર ઇન્ડિયા એકસપ્રેસને મેંગલોર એરપોર્ટ પર અકસ્માત નડ્યો હતો, જેમાં ૧૫૮ લોકોના મોત થયા હતા.

સમય સાથે એરક્રાફટ ટેકનોલોજી ખૂબ સુરક્ષિત બની છે. ૧૯૫૧દ્મક ૧૯૮૦ સુધીના ૩૦ વર્ષમાં કુલ ૩૪ પ્લેન ક્રેશ થયા છે. આ વિમાન અકસ્માતોની તપાસ પરથી ખ્યાલ આવે છે કે આમાંના ૫૯ ટકા અકસ્માતો એટલે કે લગભગ ૨૦ અકસ્માતો પાયલટની ભૂલોને કારણે થયા છે. જયારે ૧૯૮૧-૨૦૧૦ સુધીમાં કુલ ૧૩ એરક્રાફટ અકસ્માતો થયા, જેમાંથી ૧૨ અથવા ૯૨ ટકા અકસ્માત પાયલટની ભૂલોને કારણે થયા હતા. ભારતમાં આઝાદી પછીથી હમણાં સુધીમાં થયેલા વિમાન અકસ્માતોની વાત કરીએ તો કુલ ૨,૧૭૩ મૃત્યુમાંથી ૧,૭૪૦ મૃત્યુ પાયલટની ભૂલને કારણે થયા છે.

(10:11 am IST)