Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

આઈસ્ક્રીમ પાર્લરને મળી શકે રિટ્રોસ્પેક્ટિવ GSTમાંથી રાહત :જૂના બિલ પર ટેક્સ ભરવામાંથી મુક્તિ શક્ય

પાર્લર માલિકો 2017 થી વધેલા GST દરના અમલને લઈને ચિંતિત હતા

નવી દિલ્હી :આઈસ્ક્રીમ પાર્લરને રેટ્રોસ્પેક્ટિવ GST માંથી રાહત મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર GST કાઉન્સિલની આગામી બેઠકમાં આ મુદ્દે મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. નાણા મંત્રાલયની સફાઈના કારણે મૂંઝવણ ઊભી થઈ હતી. મંત્રી જૂથ પાર્લરને મુક્તિ આપવાના પક્ષમાં છે. પાર્લર માલિકો 2017 થી વધેલા GST દરના અમલને લઈને ચિંતિત હતા.

6 ઑક્ટોબરે નાણા મંત્રાલયના નોટિફિકેશન પછી, દેશભરના આઈસ્ક્રીમ પાર્લર માલિકોને આશંકા હતી કે ટેક્સ સત્તાવાળાઓ તેમને પૂર્વવર્તી દર એટલે કે 18 ટકાના દરે ટેક્સ ચૂકવવા માટે નોટિસ ન આપી દે. એક મીડીયાના અહેવાલ મુજબ, GST દરને લઈને રચાયેલા ગ્રુપ ઓફ મીનીસ્ટર્સે આ મુદ્દા પર ચર્ચા કરી છે અને તેઓ જે તારીખથી નોટીફીકેશન જાહેર થઈ છેે, તે જ તારીખથી GST ચૂકવવાની ભલામણ કરી શકે છે. એટલે કે, તેઓએ રેટ્રોસ્પેક્ટિવ રેટથી GST ચૂકવવો પડશે નહીં.

અત્યાર સુધી જેટલા પણ આઈસ્ક્રીમ પાર્લર હતા, તેઓ પોતાને એક રેસ્ટોરન્ટ માનીને માત્ર 5 ટકાના રેટથી સર્વિસ ચાર્જ તરીકે ઈનપુટ ટેક્સ ક્રેડિટ લીધા વિના માત્ર 5 ટકાના દરે આઈસ્ક્રીમ વેચતા હતા. પરંતુ નાણા મંત્રાલયના સ્પષ્ટીકરણમાં કહેવામાં આવ્યું હતું કે હવે દેશમાં ક્યાંય પણ આઈસ્ક્રીમ વેચવા પર 18 ટકા ટેક્સ લાગશે.

આ પછી આઈસ્ક્રીમ પાર્લર પર સંકટ સર્જાયું હતું કે, ક્યાંક ટેક્સ અધિકારીઓ તેમને 2017 થી જ જે ટેક્સમાં અંતર છે એટલે કે, 13 ટકા રેટથી GST ચૂકવવાની નોટિસ ન આપી દે. પરંતુ હવે આઇસક્રીમ પાર્લરોએ રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ ચૂકવવો પડશે નહીં. GST કાઉન્સિલની આગામી બેઠકમાં તેનો નિર્ણય લેવામાં આવી શકે છે.

 નાણા મંત્રાલયે કહ્યું હતું કે પહેલાથી બનાવેલ આઈસ્ક્રીમ વેચતા આઈસ્ક્રીમ પાર્લર રેસ્ટોરાં જેવા હોતા નથી. તેઓ કોઈપણ તબક્કે રસોઈ બનાવવાના કોઈ પણ રૂપમાં સામેલ થતા નથી, જ્યારે રેસ્ટોરન્ટ સેવા પૂરી પાડતી વખતે રસોઈ બનાવવાના કામમાં સામેલ છે.

આઈસ્ક્રીમ પાર્લર પહેલેથી જ ઉત્પાદિત આઈસ્ક્રીમ વેચે છે અને રેસ્ટોરન્ટની જેમ વપરાશ માટે આઈસ્ક્રીમ રાંધતા/તૈયાર કરતા નથી. આઇસક્રીમ એક કોમોડિટી તરીકે સપ્લાય કરવામાં આવે છે અને સેવા તરીકે નહીં, તેમ છતાં સપ્લાયમાં કેટલાક ઘટકોની જ સર્વિસ કરવામાં આવે છે. એટલા માટે પાર્લર અથવા તેના જેવા કોઈપણ આઉટલેટ દ્વારા વેચવામાં આવતા આઈસ્ક્રીમ પર 18 ટકાના દરે GST લાગશે. રેસ્ટોરાંમાં વેચાતા ખોરાક પર ઇનપુટ ટેક્સ ક્રેડિટના 5% ટેક્સ લાગે છે.

(10:32 pm IST)