Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

બેકાબુ ટ્રક ઝુંપડા ઉપર ફરી વળ્યો ૮ના મોત

શ્રાવણના પ્રથમ સોમવારે સાવરકુંડલા પાસે ગોઝારો અકસ્માત : આઇસર ચાલકે કાબુ ગુમાવતા ઝુંપડામાં સુતેલા હેમરાજ સાંખલા પરિવારના ૪ સહિત ૮ને કચડી માર્યા : આઇસર ચાલકની ધરપકડ : ૨ બાળકો ગંભીર હાલતમાં સારવારમાં : પ્રાંત અધિકારી - મામલતદાર - પોલીસ કાફલો દોડી ગયો : અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસે બનેલી ગમખ્વાર ટ્રક દુર્ઘટનાથી શોક અને ઊંડા આઘાતની લાગણી અનુભવતા વિજયભાઇ રૂપાણી :મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખની આર્થિક સહાયની જાહેરાત : અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને ત્વરિત અને યોગ્ય મદદ પૂરી પાડવા વહીવટી તંત્રને મુખ્યમંત્રીની સૂચના

અમરેલી - સાવરકુંડલા - આટકોટ : સાવરકુંડલાથી સાત કિ.મી. દુર આવેલા બાઢડા ગામે રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં ગમખ્વાર અકસ્માત સર્જાતા આઠ વ્યકિતના સ્થળ પર જ મૃત્યુ થયા છે. જ્યારે ચાર ગંભીર સ્થિતિમાં અમરેલી સિવિલમાં સારવાર માટે ખસેડાયા છે. (તસ્વીર - અહેવાલ : ઇકબાલ ગોરી - દિપક પાંધી (સાવરકુંડલા), વિજય વસાણી (આટકોટ), અરવિંદ નિર્મળ (અમરેલી))

(ઈકબાલ ગોરી, દિપક પાંધી, વિજય વસાણી , અરવિંદ નિર્મળ દ્વારા) સાવરકુંડલા - આટકોટ - અમરેલી : અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા નજીક મહુવા તરફ જઈ રહેલા રાજકોટના આઈસર ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ઝૂંપડામાં સુતેલા ગરીબ પરીવારના ૮નાં કચડાઇ જતાં કરૂણ મોત થયા છે. ૨ બાળક ગંભીર છે. સરાણીયા પરિવાર (ગાળા)મા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક ટ્રક ઝૂંપડામાં ઘુસી જતાં ગરીબ શ્રમિક પરિવારોના ૮ લોકોનાં મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મહુવા તરફ જતાં મધરાતે ટ્રકચાલકે કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાય હોવાનું જાણવા મળ્યું છે.

ટ્રકચાલકે કાબુ ગુમાવતા ૧૦ ફુટનાં ખાડામાં ટ્રક ખાબકયો હતો. નીચે ઝૂંપડા કરી સુતેલા ૮ લોકોનાં કચડાઇ જતાં કરૂણ મોત થયા છે અન્ય ૨ ગંભીર ઇજાગ્રસ્ત બાળકોને સાવરકુંડલા સિવિલ સારવાર માટે ખસેડાયા છે. સાવરકુંડલા સરકારી તંત્ર દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ કરાઇ રહી છે.

આ અંગેના મળતા અહેવાલ એવા પ્રકારના છે કે સાવરકુંડલાથી દસ કિલો મીટર દૂર આવેલ બાઢડા ગામથી પસાર થતું આયસર ટ્રકના ચાલકને સંભવતઃ ઝોલું આવી જતાં કાબુ ગુમાવ્યો હતો સુતેલા સરાણીયા પરિવારના (ગાળા) વ્યકિત ઓ ઉપર

ફરી જવા થી આ ગોજારા અકસ્માતની ઘટનામાં ૮ વ્યકિતના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિજપેલ હતા અને ૨ બાળકો ગંભીર રીતે ઘાયલ થયેલ હતા.

આ ગમખ્વાર અકસ્માત ની ઘટનામાં ઘાયલ થયેલ ૨ બાળકોને વધુ સારવાર અર્થે અમરેલી રીફર કરેલ હતા અને મૃતકોને પી એમ માટે પણ અમરેલી ખસેડવામાં આવેલ હતા આ અકસ્માતની જાણ થવાથી મામલતદારશ્રી દેસાઈ, સાવરકુંડલા ટાઉન અને તાલુકા પોલીસ અધિકારીઓ અને સ્ટાફ તેમજ તાલુકા પંચાયતના ટીડીઓ સ્ટાફ દોડી ગયેલ હતા અને તુરત વ્યવસ્થા કરી હતી.

મળતી વિગતો મુજબ સાવરકુંડલાના બાઢડા ગામ નજીક રેલવે ફાટક પાસે હોટેલ દત્ત પાસે ઝૂંપડું બાંધીને રહેતા પરીવારોને મોડી રાત્રે ટાટા ૯૦૯ GJ 18 H 9168ના રાજકોટના ડ્રાઈવર પ્રવીણ દેવા પરમારે અકસ્માતે ટાટા ૯૦૯ પરનો કાબૂ ગુમાવતા ઝૂંપડું બાંધીને રહેતા પરીવાર પર ત્રાટકયો હતો ને ભર ઊંઘમાં સુતેલા ૮ વ્યકિતઓને કાળ ભેટી ગયો હતો. જેમાં બે માસૂમ બાળકોને ગંભીર ઇજાઓ થઈ હતી. ગંભીર દુર્ઘટનાની જાણ પોલીસ અને તંત્રને થતા જ સાવરકુંડલા ટાઉન, રૂરલ અને વંડા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી ને ત્વરિત ૧૦૮ને જાણ થઈ જતા સાવરકુંડલા, વિજપડી, ખાંભા, રાજુલા, બગસરા, ચલાલા, સહિતની ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી ને તમામ ૮ મૃતકોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે સિવિલ હોસ્પિટલમાં ડોકટર હાર્દિક બોરીસાગર અને સ્ટાફ હાજર હતો અને બે ઇજાગ્રસ્ત બાળકોને પ્રાથમિક સારવાર આપીને અમરેલી વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં જ મામલતદાર એમ.બી.દેસાઈ, નાયબ મામલતદાર પાનસૂરીયા, સાવરકુંડલા ટીડીઓ સ્ટાફ સાથે પ્રથમ ઘટનાસ્થળે બાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

મામલતદારશ્રી દેસાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે મૂળ બગસરા પંથકના આ શ્રમિકો રોજગારી માટે બાઢડા નજીક રહેતા હતા તેઓ આ ગંભીર દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. જેમાં ૮ વ્યકિતઓના ઘટનાસ્થળે મોત થયા છે ને જયારે અન્ય ૨ બાળકો ઇજાગ્રસ્ત થતા અમરેલી રીફર કરવામાં આવ્યા છે. જયારે અકસ્માત સર્જનાર ચાલકને પોલીસે પકડી પાડ્યો હોવાનું મામલતદાર શ્રી દેસાઈ એ જણાવ્યું હતું.

બાઢડાના સ્થાનિકો દ્વારા ગંભીર દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે અકસ્માત સર્જાયા બાદ ડ્રાઈવરે પણ મૃતકોના શબ કાઢવામાં મદદ કરી હતી.

ટાટા ટ્રક હોટેલની પાછળના ભાગે ઘુસી ગયો હતો. બાઢડાના સ્થાનિકો પણ તંત્રની વ્હારે આવી ગયા હતા જયારે હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં તમામ મૃતકોની લાશો રાખ્યા બાદ મામલતદાર દ્વારા અમરેલી જિલ્લા તંત્રમાં જાણ કરીને તમામ મૃતકોના શબને પીએમ માટે અમરેલી ખસેડવામાં આવ્યા હતા.

અમરેલીના એસપી શ્રી નિરલિપ્ત રાય પણ અકસ્માતના ઘટના સ્થળની મુલાકાત કરી હતી.

મૃત્યુ પામેલ ૮ વ્યકિતઓ તથા ઇજા પામેલ ૨ મળી કુલ ૧૦ વ્યકિતઓને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે ૧૦૮ મારફત આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવેલ હતા. શ્રાવણ માસના પ્રથમ સોમવારે સર્જાયેલી દુર્ઘટનાથી સાવરકુંડલા શહેર તાલુકામાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

બનાવની જાણ થતાં પ્રાંત અધિકારી શ્રી ગોહિલ, મામ.શ્રી દેસાઇ, રૂરલ પીઆઇ દેસાઇ સ્થળ પર દોડી ગયા હતા અને બનાવની જિલ્લા ઉપરી અધિકારીઓને જાણ કરતા જિલ્લા પોલીસ વડા પણ રાત્રીના જ બાઢડા ગામે દોડી આવ્યા હતા. તમામ મૃતકો અને ગંભીર ઇજાગ્રસ્તોને અમરેલી સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.(૨૧.૯)

અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની યાદી

(૧) વિરમભાઈ છગનભાઇ રાઠોડ (ઉં.૩૫)

(ર) નરશીભાઈ વસનભાઈ સાંખલા (ઉં. ૬૦)

(૩) નવઘણભાઈ વસનભાઈ સાંખલા (ઉં.૬૫)

(૪) હેમરાજભાઈ રઘાભાઈ સોલંકી (ઉં.૩૭)

(૫) લક્ષ્મીબેન હેમરાજભાઈ સાખલા (ઉં.૩૦)

(૬) સુકનબેન હેમરાજભાઈ સાખલા (ઉં.૧૩)

(૭) પૂજાબેન હેમરાજભાઈ સાખલા (ઉં.૮)

(૮) લાલાભાઈ ઉર્ફે દાદુભાઈ ડાયાભાઇ રાઠોડ (ઉં.૨૦)

અકસ્માતમાં ઇજાગ્રસ્ત

(૧) લાલાભાઈ હેમરાજભાઈ સોલંકી ઉ.વ.આ.૩

(ર) ગીલીભાઈ હેમરાજભાઈ સોલંકી ઉ.વ.આ.૭

(11:21 am IST)