News of Tuesday, 9th March 2021
નવી દિલ્હી, તા. ૯ : શાળાઓ ખુલી રહી છે અને સાથે સાથે પેરેન્ટ્સનું ટેન્શન પણ વધી રહ્યું છે. જોકે અત્યાર સુધી એવું લાગે છે કે બાળકો મોટા ભાગે કોરોના વાયરસથી સુરક્ષિત છે. અમેરિકામાં ૫ લાખ મૃત્યુમાંથી બાળકોનો આંકડો ૩૦૦થી ઓછો છે. તેમ છતાં, કોઈ નહીં ઇચ્છે કે તેના બાળકને ચેપ લાગે. શાળાઓમાં કોવિડ ફાટી નીકળવાના સમાચારથી તણાવ વધારે વધે છે. ગયા અઠવાડિયે હરિયાણાની એક સ્કૂલમાંથી ૫૪ બાળકો પોઝિટિવ હોવાનું જાણવામાં આવ્યું હતું. દેશના બીજા ઘણા ભાગોમાં શાળાઓની અંદર કોવિડના કેસ નોંધાયા છે. તેવામાં એક પ્રશ્ન બધાને સતાવી રહ્યો છે કે બાળકો માટે હજી સુધી કોરોનાની કોઈ રસી તૈયાર કરવામાં આવી નથી. આટલો સમય કેમ લાગે છે? બાળકો માટે રસી ક્યારે તૈયાર થશે? તેમને રસી આપવાની શું જરૂર છે? ચાલો આપણે આમાંના કેટલાક પ્રશ્નોના જવાબો જાણીએ.
નીતિઓ નક્કી કરનારાઓની પ્રાથમિકતા અત્યાર સુધી સૌથી વધુ ખતરો હોય તેવા લોકોને વહેલી તકે રસી પૂરી પાડવાની છે. અત્યાર સુધી એવું જોવા મળ્યું છે કે બાળકો હળવા લક્ષણો સાથે કોવિડ વાયરસનો સામનો કરવામાં સક્ષમ છે, પરંતુ તેઓ આ વાયરસને અન્ય લોકોમાં ફેલાવી શકે છે. એટલે કે જો બાળકને શાળામાં કોરોના હોય તો તે તેના દાદા-દાદી અથવા ઘરના વૃદ્ધોને ચેપ લગાડી શકે છે, જેમનામાં કોવિડ ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે. બાળકોનું રસીકરણ વયસ્કોની સુરક્ષા કરશે. બાળકોને રસી આપવના ઘણા ફાયદા છેઃ
વિશ્વભરમાં ઓછામાં ઓછી ૮ કોવિડ રસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમને સીધા બાળકોને કેમ આપી શકાતા નથી? નવી ટ્રાયલ કરવાની શું જરૂર છે? ફાઇઝરની કોવિડ રસીના ટ્રાયલનું નેતૃત્વ કરનારા ડો.કૌસર તલતે પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, બાળકો અને કિશોરોની ઇમ્યુન સિસ્ટમ રસી પર તે પ્રકારની પ્રતિક્રિયા નથી આપતા જેવી એક વયસ્ક વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ આપે છે. તલતના જણાવ્યા મુજબ બાળકોની ઇમ્યુન સિસ્ટમ વધુ મજબૂત છે અને રસીને તીવ્ર પ્રતિસાદ આપે છે. રસીની નાની માત્રા તેમના માટે પૂરતી હોઈ શકે છે. ઉંમરની દ્રષ્ટિએ રસી પ્રત્યેનો રિસ્પોન્સ બદલાય છે, તેથી દરેક જૂથ માટે કેટલા ડોઝની જરૂર છે તે શોધવું જરૂરી છે જેના માટે ટ્રાયલ હોવી જોઈએ.
પુખ્ત વયના લોકો માટે કોરોના વાયરસ રસીના ટ્રાયલમાં હજારો લોકો સામેલ હતા, પરંતુ બાળકો પરની ટ્રાયલ નાના ગ્રુપ્સ પર થશે. સાયન્સ મેગેઝીન જણાવ્યા અનુસાર, આ રસી બાળકો પર કેટલી અસરકારક છે, વૈજ્ઞાનિકો તેની જાણકારી 'ન્યુટ્રલાઇઝિંગ એન્ટિબોડિઝ' નું સ્તર નક્કી કરીને જાણી શકશે.
સ્પષ્ટ કંઈ પણ કહેવું મુશ્કેલ છે. ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસી ડોઝ અને સમયપત્રકમાં કોઈ પણ ફેરફાર વિના બાળકો પર અસરકારક જોવા મળે છે તો પણ રસીકરણ તાત્કાલિક શક્ય બનશે નહીં. રસીનો પુરવઠો મર્યાદિત છે અને પ્રાથમિકતા વૃદ્ધોના રસીકરણની છે. જો રસી બાળકો માટે મંજૂર કરી દેવામાં આવે તો પણ તેમણે રાહ જોવી પડશે.
અમેરિકાના મહામારી નિષ્ણાત ડો.એન્થોની ફાઉચીએ જણાવ્યું છે કે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ આ વર્ષે શિયાળાથી રસી મળી શકે છે. પરંતુ ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ૨૦૨૨ સુધી રાહ જોવી પડી શકે છે. ફાઇઝર અને મોડર્નાએ કહ્યું છે કે તેઓ રસીકરણના એક મહિના પછી બાળકોમાં એન્ટિબોડીઝના સ્તરની તપાસ શરૂ કરશે.
કોની ટ્રાયલ થવાની છે?
* એસ્ટ્રાઝેનેકા (ભારતમાં કોવિશીલ્ડ)- વઆ મહિને યુકેમાં શરૂ થઈ રહી છે, આ ટ્રાયલમાં ૬-૧૭ એજ ગ્રુપનો સમાવેશ થશે
* ભારત બાયોટેક (ભારતમાં કોવેક્સીન)-૫-૧૮ વય જૂથ પર ફેઝ ૩ ટ્રાયલ માટે મંજૂરી માંગવામાં આવી છે
* ફાઇઝર-બાયોએનટેક-૧૨-૧૫ વય જૂથ માટે નોંધણી પૂર્ણ થઈ છે, હાલ આ રસી ૧૬ વર્ષથી વધુ ઉંમરવાળાને લાગે છે
* મોડર્ના- ૧૨-૧૮ વય જૂથ માટે સ્વયંસેવકોની નોંધણી શરૂ છે
* સાઇનોવેક- ૩-૧૭ એજ ગ્રુપ પર ટ્રાયલ ચાલી રહ્યું છે