Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

દેશના ૧૧ રાજ્યને વિશેષ દરજ્જો મળેલો છે : રિપોર્ટ

બંધારણમાં ખાસ રાજ્ય માટે જોગવાઈ નથી : જોગવાઈ ન હોવા છતાં કેટલાક રાજ્યો અન્ય રાજ્યોની તુલનામાં પછાત હોવાથી ખાસ દરજ્જો આપી દેવાયો

નવીદિલ્હી,તા. ૮ : આંધ્રપ્રદેશને સ્પેશિયલ સ્ટેટનો દરજ્જો ન મળવાને લઇને ભાજપ અને ટીડીપી અલગ થઇ ગયા છે. ખાસ રાજ્યનો દરજ્જો એક જટિલ મુદ્દો છે. ભારતીય બંધારણમાં કોઇપણ રાજ્યને ખાસ રાજ્યનો દરજ્જો આપવાની કોઇ જોગવાઈ નથી. દેશના કેટલાક હિસ્સા અન્ય રાજ્યોની સરખામણીમાં સંસાધનની દ્રષ્ટિએ ખુબ પાછળ છે તેવી બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે અને કેટલાક રાજ્યોને ખાસ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલે કેટલાક તથ્યો જેમ કે પહાડી વિસ્તારો, દૂરગામી વિસ્તારો, ઓછી જનસંખ્યા, આદિવાસી વિસ્તાર, આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલી સરહદ, પ્રતિવ્યક્તિ આવક, બિનકરવેરા મહેસુલી આવકના આધાર પર આવા રાજ્યોની ઓળખ કરવામાં આવે છે. કેટલાક રાજ્ય ભૌગોલિક અને સામાજિક આર્થિક વિસંગતાઓના શિકાર છે. આ રાજ્યોમાં વધારે દુર્ગમ પહાડી વિસ્તાર હોવાના કારણે આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર સ્થિત હોવાના કારણે ઉદ્યોગ ધંધાની બાબત મુશ્કેલરુપ રહે છે. વિકાસના માર્ગ ઉપર આ રાજ્યોને સાથે લઇને ચાલવાની બાબત માટે ખાસ રાજ્યનો દરજ્જો આપવામાં આવે છે. દેશની ત્રીજી પંચવર્ષીય  યોજના એટલે કે ૧૯૬૧થી ૧૯૬૬ અને ૧૯૬૬થી ૧૯૬૯ સુધી કેન્દ્ર સરકાર પાસે રાજ્યોને નાણા આપવા માટે કોઇ ફોર્મ્યુલા ન હતી તે વખતે યોજના આધારિત નાણા આપવામાં આવતા હતા. ૧૯૬૯માં કેન્દ્રીય સહાયતાની ફોર્મ્યુલા બનાવતી વેળા પાંચમાં નાણા પંચે ગાડગીલ ફોર્મ્યુલાના આધાર પર ત્રણ રાજ્યોને ખાસ રાજ્યનો દરજ્જો આપ્યો હતો જેમાં આસામ, નાગાલેન્ડ અને જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે. આ રાજ્યોના પછાતપણા, ભૌગોલિક સ્થિતિ અને અન્ય પાસાોને ધ્યાનમાં લેવાયા હતા. બાદના વર્ષોમાં પુર્વોત્તરના બાકી પાંચ રાજ્યોની સાથે સાથે અન્ય કેટલાક રાજ્યોને પણ આ દરજ્જો આપવામાં આવ્યો હતો. આ માપદંડને પૂર્ણ કરનાર રાજ્યોને કેન્દ્રીય સહયોગ વધારે પ્રમાણમાં મળે છે. કેન્દ્ર તરફથી ભરપુર સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

કાયદાકીય જટિલતાના પરિણામ સ્વરુપે ખાસ રાજ્યનો દરજ્જો મેળવી લેવાની બાબત સરળ નથી. દેશના ૧૧ રાજ્યોને ખાસ રાજ્યનો દરજ્જો મળેલો છે. આ ૧૧ રાજ્યોમાં અરુણાચલ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. બિહારે પણ ૨૦૧૩માં આવી જ માંગ કરી હતી પરંતુ સહમતિ સધાઈ ન હતી.

આંધ્રપ્રદેશને લઇ અનેક કાયદાકીય દુવિધા છે...

મુલ્યાંકન મુજબ માંગ વાજબી નથી

        નવીદિલ્હી, તા. ૮ : આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવાના મામલામાં ટીડીપીના વધતા વિરોધ વચ્ચે નાણામંત્રી અરુણ જેટલીએ ગઇકાલે સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી. જેટલીએ કહ્યું હતું કે, કેન્દ્ર એક ખાસ શ્રેણી રાજ્યના બરોબર આંધ્રપ્રદેશની નાણાંકીય સહાયતા માટે કટિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, તે આવા મૂલ્યાંકનથી સહમત છે કે, રાજ્યના વિભાજન બાદ આંધ્રપ્રદેશની હાલત આર્થિકરીતે નબળી છે. કેન્દ્ર સરકાર દ્વારા વિભાજનવેળા આપવામાં આવેલા વચનો પાળવામાં આવશે. ચંદ્રાબાબુ નાયડુની માંગના સંદર્ભમાં જેટલીએ કહ્યું હતું કે, જે વખતે રાજ્યનું વિભાજન થયું હતું તે વખતે આ દરજ્જો આપવાની સ્થિતિ હતી પરંતુ ૧૪માં નાણા પંચ બાદ આવા કોઇ પણ દરજ્જા માત્ર નોર્થ ઇસ્ટ અને પહાડી રાજ્યો માટે જ કાયદાકીય છે. ખાસ દરજ્જા મેળવી ચુકેલા રાજ્યોને કેન્દ્રની યોજનાઓમાં ૯૦ ટકા ફંડ મળે છે જ્યારે સામાન્ય રાજ્યોને ૬૦ ટકા ફંડ મળે છે. આંધ્રને ૯૦ ટકા ફંડ આપવા માટે સરકાર  તૈયાર છે પરંતુ દરજ્જો અપાશે નહીં.

(7:43 pm IST)