Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

...મને પણ કનૈયો બચાવશે, મંદિર પરથી માર્યો કૂદકો

કૃષ્ણ ભકિતમાં અંધ બન્યો યુવકઃ વૃંદાવનમાં મંદિરના બીજે માળેથી કૂદ્યો

વૃંદાવન તા. ૯ : યુપીના વૃંદાવનમાં એક યુવકે મંદિરની છત પરથી છલાંગ લગાવી દીધી. જોકે સદનસીબે યુવકનો જીવતો બચી ગયો પરંતુ આ ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ થઈ. વૃંદાવન સ્થિત મંદિરના બીજા માળેથી યુવકે એવું વિચારીને કૂદકો લગાવી દીધો કે ભગવાન સૌ કોઈને બચાવી લે છે, તો તેને પણ બચાવી લેશે. છતથી કૂદવા પર યુવકના બંને પગ ફ્રેકચર થઈ ગયા. હોસ્પિટલમાં દાખલ યુવકને હવે પોતાના કર્યા પર અફસોસ થઈ રહ્યો છે.

જાણકારી મુજબ બદાયૂંના હજરતગંજ ગામના નિવાસી ૨૦ વર્ષિય વિકાસે ત્રણ દિવસ પહેલા મથુરા-વૃંદાવન ફરવા માટે આવ્યો હતો. હોસ્પિટલમાં તેણે જણાવ્યું કે, તે ભગવાન શ્રીકૃષ્ણનો ભકત છે અને પોતાના આરાધ્યા સાથે ઘણી લાગણી છે. તેણે કહ્યું, હું ગામમાં પણ ભગવાનની ભકિત કરતો હતો. મારું મન થયું કે ભગવાન સૌ કોઈને મોતના મુખમાંથી બચાવી લે છે તો હું પણ કૂદીને જોઉં કે મારો કાનુડો મને બચાવે છે કે નહીં. આ વિચારીને તેણે બુધવારે સવારે પ્રેમ મંદિરના બીજા માળેથી કૂદકો માર્યો.

વિકાસે પૂછવામાં આવ્યું કે શું કોઈએ તેને આવું કહ્યું, જવાબમાં તેણે જણાવ્યું કે, નહીં, પરંતુ વિશ્વાસ હતો કે હું તેમને એટલો પ્રેમ કરું છું, તો તે મને બચાવી લેશે. હવે પોતાની આ કરતૂત પર તેને અફસોસ થઈ રહ્યો છે. વિકાસનું કહેવું છે કે તેની બુદ્ઘિ ભ્રષ્ટ થઈ ગઈ હતી.

યુવકની સ્થિતિ વિશે જણાવતા ડો. વિપિન ચાહરે કહ્યું કે, આ ઘટનામાં યુવકની પેલ્વિન બોન (કૂલ્હાનું હાડકું) માં ફ્રેકચર થયું છે. હાલમાં યુવકની હાલત ગંભીર છે.(૨૧.૭)

(10:25 am IST)