Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

હરિયાણા સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દિલ્હી જળ બોર્ડની પિટિશન : યમુના નદીમાં ઠલવાતા પ્રદુષણને અટકાવો : દિલ્હીને પાણીનો પૂરતો પુરવઠો મળે તે માટે યમુનામાં એમોનિયાના વધતા સ્તરને રોકો

ન્યુદિલ્હી : જળ સંકટને કારણે  દિલ્હી બોર્ડે  હરિયાણા સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે.

પિટિશનમાં યમુના નદીમાં ઠલવાતા પ્રદુષણને અટકાવવા તથા દિલ્હીને પાણીનો પૂરતો પુરવઠો મળે તે માટે યમુનામાં એમોનિયાના વધતા સ્તરને રોકવા દાદ માંગી છે.

 દિલ્હી જળ  બોર્ડના વાઇસ ચેરમેન રાઘવ ચડ્ડાએ સોમવારે જણાવ્યું હતું કે, પાણીના ગંભીર સંકટને પહોંચી વળવા માટે, જળ બોર્ડે હરિયાણા સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક યમુના નદીમાં વહેતા પ્રદુષણને અટકાવવા અને દિલ્હીને પૂરતું પાણી પહોંચાડવા માટે હરિયાણા સરકાર સામે કાર્યવાહી કરી છે.

તેમણે રવિવારે હરિયાણાના દિલ્હી વિભાગને પાણીનો પુરવઠો અને યમુનામાં વધતા જતા એમોનિયાના મુદ્દે કેન્દ્રીય જળ સંસાધન પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતને આ મામલે  હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી. ચઢ્ઢાએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે જળ સંસાધન પ્રધાને હરિયાણા સરકારને દિલ્હીના પાણીનો એક ભાગ છોડવા અને એમોનિયાના વધતા સ્તરને રોકવા માટે નિર્દેશ આપવો જોઈએ.

રાઘવ ચઢ્ઢાએ આરોપ લગાવ્યો હતો કે હરિયાણા સરકારના સુસ્ત વલણને કારણે યમુનામાં ઔદ્યોગિક કચરોનો મોટો જથ્થો નાખવામાં આવી રહ્યો છે, જેના કારણે  યમુનામાં એમોનિયાનું સ્તર વધી  રહ્યું છે .

આનાથી વજીરાબાદ અને ચંદ્રવાલ જળ શુદ્ધિકરણ પ્લાન્ટમાં સારવાર ક્ષમતામાં 30 ટકા અને ઓખલા પ્લાન્ટ ઉત્પાદન ક્ષમતામાં 15 ટકા ઘટાડો થયો છે. તેનાથી દિલ્હીના ઘણા વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાઈ શકે છે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(8:17 pm IST)