Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

બજેટમાં મધ્યમવર્ગને રાજી કરશે સરકારઃ મળશે ટેક્ષમાં રાહત

સરકાર ટેકસ છૂટ, હેલ્થ ઇશ્યોરન્સ પર વધારાના લાભ, એફડી પર વધુ વ્યાજ જેવી જાહેરાત કરી શકે છેઃ સરકારનો એક પક્ષ સ્ટોક માર્કેટ ટ્રાન્ઝેકશન પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેકસ વધારવાના પક્ષમાં છે જે મુજબ રૂ. ૫ લાખ સુધીના ટ્રાન્ઝેકશન પર રાહત મળશેઃ આ ઉપરાંત તેના પર લાગતા ટેકસ ચાર્જીસને પણ ૧૦ ટકા સુધી ઘટાડવામાં આવી શકે છે

નવી દિલ્હી તા. ૮ : પીએમ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ પહેલા પોતાના છેલ્લા પૂર્ણ બજેટમાં આ વર્ષે દેશના મધ્યમ વર્ગને મોટી રાહતો આપી શકે છે. ચૂંટણીના મેદાનમાં ઉતરતા પહેલા સરકાર મતદારોના મોટાવર્ગને પોતાની તરફ કરવા માટે મિડલ કલાસને ટેકસમાં રાહત આપશે. મધ્યમ વર્ગને પહેલાથી ભાજપનો મોટો સપોર્ટર માનવામાં આવે છે. સરકારમાં હાલ બજેટને લઈને ચાલતી આંતરિક ચર્ચાઓમાં પણ સરકાર તથા પાર્ટીના નેતાઓનું માનવું છે કે બજેટમાં મિડલ કલાસને વિશેષ ફાયદો કરાવવાથી ૨૦૧૯માં ભાજપને ફરી એકવાર ફાયદો થઈ શકે છે.

આ માટે સરકાર ટેકસ છૂટ, હેલ્થ ઇંશ્યોરન્સ પર વધારાના લાભ, એફડી પર વધુ વ્યાજ જેવી જાહેરાત કરી શકે છે. કેમ કે પાછલા થોડા સમયથી શેરબજારમાં ઉછાળો અને મ્યચ્યુઅલ ફંડમાં ભારે રિટર્નના કારણે સરકારી રોકાણ યોજનાઓમાં આકર્ષણ ઘટ્યું છે. તેમજ તાજેતરમાં જ નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે સરકાર લોકો પાસે વધુને વધુ ફંડ રહે તેના પર વિશ્વાસ કરે છે. કેમ કે આમ થવાથી લોકો વધુ ખર્ચ કરશે અને રોકાણ કરશે જેનો લાંબાગાળે દેશના અર્થતંત્રને ફાયદો મળશે.

જોકે, કોર્પોરેટ ટેકસમાં ઘટાડો અને GSTના કરણે રેવન્યુ ઘટતા સરકારી તિજોરી પર અસર પડી છે. ત્યારે લોકોને વધારનો ફાયદો બજેટમાં આપવા પહેલા સરકારે અન્ય આવકના અન્ય રસ્તાઓ અંગે વિચાર કરવો પડશે. સૂત્રો મુજબ સરકારનો એક પક્ષ સ્ટોક માર્કેટ ટ્રાન્ઝેકશન પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેકસ વધારવાના પક્ષમાં છે. જે મુજબ રૂ.૫ લાખ સુધીના ટ્રાન્ઝેકશન પર રાહત મળશે. આ ઉપરાંત તેના પર લાગતા ટેકસ ચાર્જીસને પણ ૧૦ ટકા સુધી ઘટાડવામાં આવી શકે છે. આ રીતે મોદી સરકાર ગરીબ અને મધ્યમ વર્ગને પોતાની તરફ કરવા માટે રાહતો ધરાવતું બજેટ રજૂ કરવાના મૂડમાં છે.

મોદી સરકાર મધ્યમ વર્ગને વધુને વધુ રાહતો આપવા માગે છે જેનો સંકેત એ વાત પરથી મળે છે કે તાજેતરમાં જ સરકારે ૨૦૦ જેટલી આઇટમ્સને GSTના ૨૮% ટેકસના સ્લેબમાંથી બહાર કરીને તેનાથી ઓછા ૧૮ અને ૧૨ ટકાના ટેકસ સ્લેબમાં મુકી છે. નામ ન જણાવવાની શરતે ઉચ્ચ સરકારી સૂત્રે કહ્યું કે, 'સરકારના આ નિર્ણયથી ૫૦૦૦ રોકાણકારોની મૂડી પર સીધી અસર થશે પરંતુ તેની સામે ૫ કરોડ પરિવારોને સીધો જ ફાયદો થશે. આ જોતા સરકારે વધુ લોકોના ફાયદા માટે આ નિર્યણ લીધો છે.' તો સૂત્રો મુજબ વડાપ્રધાન મોદી નાણાં પ્રધાન અરુણ જેટલી સાથે ચર્ચા કર્યા બાદ રાજકીય રીતે પણ અતિ મહત્વની એવી ટેકસમાં છૂટછાટ અંગેની જાહેરાત કરી શકે છે.

જોકે સરકાર સામે સૌથી મોટો પ્રશ્ચ એ છે કે જો તેઓ ટેકસમાં રાહતો આપે છે તો ગરીબ તબક્કા માટે શરૂ કરવામાં આવેલ કેન્દ્ર સરકારના કેટલાય ફલેગશીપ કાર્યક્રમોના ભંડોળ પર તેની અસર ન પડે. હાલ ૨.૫ લાખ સુધીની આવક પર કોઈ ટેકસ નથી. તે ઉપરાંત PPF અને પાંચ વર્ષ સુધી બેંક ખાતામાં ૧.૫ લાખના રોકાણ પર ટેકસ છૂટ આપવામાં આવી છે. તો ઇન્કમ ટેકસ એકટના સેકશન 80C અંતર્ગત પણ વિવિધ બાબતે ટેકસ છૂટ અપાઈ છે.

(9:52 am IST)