Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

હિમસ્ખલનનો ભોગ બનેલા ગુજરાતના પાંચ ટ્રેકર્સનું સફળતાપૂર્વક રેસક્યુ કરાયું

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં માઉન્ટેઈન ટ્રેનિંગ માટે ગયેલા ટ્રેકર્સ હિમસ્ખલનનો ભોગ બન્યા હતા:ગુજરાતથી ગયેલા 6 ટ્રેકર્સ પૈકી 5 ટ્રેકર્સનું સફળતાપૂર્વક રેસક્યુ :ગુજરાત સરકાર ઉત્તરકાશીના આપદા પ્રબંધન અધિકારીઓ સાથે સતત સંપર્કમાં

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં 5,670 મીટરની ઊંચાઇ દ્રોપદી કા દાંડા-2 પર્વત ખાતે એડવાન્સ માઉન્ટેઇન ટ્રેનિંગ માટે ગયેલા 34 ટ્રેકર્સ હિમસ્ખલનનો ભોગ બન્યા હતા. ગુજરાતના ટ્રેકર્સની સત્વરે રાહત બચાવ કામગીરી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરએ ઉત્તરકાશી આપદા પ્રબંધન અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. જેના પરિણામે ગુજરાતના કુલ 6 પૈકી 5 ટ્રેકર્સને સહિ સલામત રીતે વિવિધ સુરક્ષા દળો દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યા છે, તેમ ગાંધીનગર ખાતે રાહત કમિશનર હર્ષદભાઇ પટેલે જણાવ્યુ હતુ

રાહત કમિશનરે વધુ વિગતો આપતાં જણાવ્યું હતુ કે એડવાન્સ માઉન્ટેઇન ટ્રેનિગ માટે નેહરૂ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ, ઉત્તરકાશી દ્વારા દ્રૌપદી કા દાંડા-2 પર્વત ખાતે એડવાન્સ માઉન્ટેનીંગ કોર્સ તા.02 થી 04 ઓક્ટોબર-2022 દરમિયાન યોજાયો હતો. જેમાં ગુજરાત સહિત ભારતના અલગ-અલગ રાજ્યમાંથી ટ્રેકર્સ જોડાયા હતા. આ પર્વત ઉપર 5670 મીટરની ઉંચાઇએથી 04 ઓક્ટોબરના રોજ સવારે 4.00 કલાકે પરત ફરતા સમયે 34 ટ્રેકર્સ અને 7 ઇન્સ્ટ્રક્ટર સવારે 08.45 વાગે હિમસ્ખલનનો ભોગ બન્યા હતા, જેમાં ગુજરાતના 06 ટ્રેકર્સનો સમાવેશ થતો હતો.

રાહત કમિશનરે કહ્યું હતું કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતેથી આ દુર્ઘટનાની માહિતી માટે તાત્કાલિક સંપર્ક કરતા ઉત્તરકાશી આપદા પ્રબંધન અધિકારી, ઉત્તરાખંડના મોબાઇલ પરથી મળેલ મેસેજ મુજબ ગુજરાતના 06- વ્યક્તિઓમાંથી ભાવનગરના રહેવાસી ગોહિલ અર્જુનસિંહ ભૂપેન્દ્રસિંહ મિસિંગ થયા છે. જ્યારે અન્ય 05 વ્યક્તિઓ અમદાવાદના દિપ કનૈયાલાલ ઠક્કર, NIM હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આ ઉપરાંત બાકીનાં 04 વ્યક્તિઓમાં રાજકોટના પરમાર ભરતસિંહ, સુરતના ચેતનાબેન રાખોલિયા, ભાવનગરના બારૈયા કલ્પેશભાઈ અને એરફોર્સ જામનગરના સાર્જન્ટ રાકેશકુમાર શર્માને ITBT, NDRF અને Air Force દ્વારા સલામત રીતે રેસ્ક્યુ કરી તા.૦૫ ઓક્ટોબર ૨૦૨૨નાં રોજ નેહરૂ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનીયરિંગ, ઉત્તરકાશી ખાતે રાખવામાં આવ્યા છે.

(11:05 pm IST)