Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

પૂર્વી લદ્દાખના ગોગરામાંથી પાછળ હટ્યા ભારત- ચીનના સૈનિકો:કામચલાઉ બાંધકામને પણ નષ્ટ કરાયું

ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર તંગદિલી પૂર્વેની સ્થિતિ પુનઃ સ્થાપિત

લદ્દાખઃ ભારત અને ચીન બંને દેશોએ ગોગરા વિસ્તારમાં પાછા હટવાનુ શરૂ કરી દીધુ છે. બંને દેશોએ સરહદ પરના વિસ્તારોમાંથી પોતાના સૈનિકોને પાછા ખેંચી લીધા છે. આ સાથે બાંધવામાં આવેલા કામચલાઉ બાંધકામનો નષ્ટ કરવામાં આવ્યો છે. ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર તંગદિલી પૂર્વેની સ્થિતિ પુનઃ સ્થાપિત કરવામાં આવી રહી છે. ગત વર્ષે ચીનના સૈનિકો પેંગોંગ તળાવની ઉત્તર અને દક્ષિણ કાંઠેથી ભારતની સરહદ તરફ ધસી આવ્યાં હતા. જ્યાં બન્ને દેશોના સૈન્ય જવાનો વચ્ચે થયેલા ઘર્ષણમાં ચીનના સૈનિકોને મારતા મારતા ભારતના 20 જવાનો શહીદ થયા હતા. આ બનાવ બાદ ભારત અને ચીનના સૈન્ય જવાનો શસ્ત્ર સંરજામ સાથે વર્ષે એપ્રિલથી પૂર્વી લદ્દાખના ઘણા વિસ્તારોમાં સામસામે આવી ગયા હતા.

ભારતીય સેના દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે સમજૂતી અનુસાર LAC ના આ વિસ્તાર પર કડક નજર રાખવામાં આવશે, બંને પક્ષો તેનો આદર કરશે. શાંતિના સમયગાળાની યથાસ્થિતિ જાળવી રાખવામા આવશે. સરહદ પર કોઈ એક તરફી સૈન્યનો ખડકલો કરીને સ્થિતિ બદલવામાં નહીં આવે. આ સાથે અન્ય સંવેદનશીલ વિસ્તારમાં પણ ઘર્ષણનો અંત લાવવામા આવશે.

ભારત અને ચીન બંને પક્ષોએ વાતચીતને આગળ વધારવા અને પશ્ચિમ ક્ષેત્રમાં LACના બાકીના સંવેદનશીલ મુદ્દાઓને ઉકેલવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દેશની સાર્વભૌમત્વ અને LAC ખાતે શાંતિ માટે ભારતીય સેના અને ITBP પ્રતિબદ્ધ છે. બંને દેશો વચ્ચે 12 માં તબક્કાની સૈન્યસ્તરની વાતચીત સાડા ત્રણ મહિનાથી વધુ સમયગાળે યોજાઈ હતી.ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની બેઠક બાદ તમામ મુદ્દાઓને લઈને ફરી વાતચીત શાંતિથી ઉકેલવાની જાહેરાત કરવામાં આવી છે.

(11:40 pm IST)