Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

હું ૭ વખત મોતના મુખમાંથી બહાર નીકળ્યોઃ રામદેવ બાબા

સંબંધીઓ માતા પર કરતા અત્યાચારઃ તિરસ્કારને પોતાની તાકાત બનાવી

હરિદ્વાર તા. ૭ : યોગગુરુ રામદેવ બાબાના જીવન પર આધારિત ટીવી સીરિયલ બની રહી છે. જે અંગેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બાબા રામદેવે પોતાની સાથે જોડાયેલી અમુક રહસ્યમય વાતોને ઉજાગર કરી. રામદેવ બાબાએ જણાવ્યું કે એમનું બાળપણ સંઘર્ષભર્યું હતું અને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી હતી.

એટલું જ નહીં રામદેવ બાબાએ જણાવ્યું કે તેઓએ સાત વખત મોતને નજીકથી જોયું છે. હવે તેઓ ટીવી માધ્યમ દ્વારા આ બધી વાર્તાઓને લોકો સુધી પહોંચાડશે.

ટૂંક સમયમાં જ રામદેવ બાબાના જીવન પર આધારિત ટીવી સીરિયલ 'સંઘર્ષ કથા' રજૂ થશે. જેમાં બાબા રામદેવના બાળપણથી લઇને યોગગુરુ બનવા સુધીના સફરની વાત કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સમાં રામદેવ બાબાએ જણાવ્યું કે ગામમાં એમના જ સંબંધીઓ એમની મમ્મી પર અત્યાચાર કરતા હતા. મોટા થયા બાદ રામદેવ બાબા અવાજ ઉઠાવવા લાગ્યા અને હરિદ્વાર શિફટ થઇ ગયા.

'હરિદ્વારમાં પહોંચતાની સાથે જ મારી સાથે ષડયંત્ર રચાયું હતું અને ૫૦થી વધુ લોકોએ મને ઘેરી લીધો હતો. મારા મૃત્યુની તમામ તૈયારીઓ કરી લીધી હતી, પણ હું બચી ગયો અને મેં દરેક તિરસ્કારને મારી તાકાત બનાવી લીધી.'

વધુ એક ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, 'એક વખત ભુલથી એલ્યુમિનિયમના વાસણમાં ઉકાળેલું દૂધ પી ગયો હતો, જેને કારણે મારા આખા શરીરમાં આર્સેનિકનું ઝેર ફેલાઇ ગયું હતું, જેને પગલે મેં હજારો ઉલ્ટી કરી હતી.'

'ગુરૂ આચાર્ય વાર્ષ્ણેય હંમેશા મારી સાથે રહ્યા' વધુમાં જણાવ્યું કે તે અભણ માતા-પિતાના સંતાન છે અને ભણવા માટે સ્કૂલે પગપાળા જતા હતા.

દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં રાખવામાં આવેલી સીરિયલની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને નાણાપ્રધાન અરુણ જેટલીને આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજનીતિમાં ઝંપલાવવાના સવાલના જવાબમાં કહ્યું કે 'મારા માટે રાજનીતિ રાષ્ટ્રધર્મ છે, પરંતુ મારી ભીષ્મ પ્રતિજ્ઞા છે કે હું કયારેય રાજનૈતિક હોદ્દો નહીં લઉં. મારો દેશ સુરક્ષિત રહે તે ઇચ્છું છું પણ કંઇ મેળવાની ઘેલછા બિલકુલ નથી.' કહ્યું કે મારી વાર્તાઓને સીરિયલના માધ્યમથી દેખાડીને વધુ એક સંઘર્ષને આમંત્રણ આપી રહ્યું છું, પરંતુ હું આના માટે તૈયાર છું.

(4:08 pm IST)