Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

સરહદ પર યુદ્ધવિરામ ભંગ મુદ્દો લોકસભામાં પણ ઉઠ્યો

કોંગ્રેસના સભ્યોએ કઠોર પગલાની માંગણી કરી : પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધવિરામ ભંગ કરતા સરહદ પર હજુ સ્ફોટક સ્થિતિ : કેન્દ્ર સરકારે ગંભીર નોંધ લીધી

નવી દિલ્હી,તા. ૬ : જમ્મુ કાશ્મીરમાં સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ભંગના મુદ્દે આજે કોંગ્રેસે લોકસભામાં જોરદાર રજૂઆત કરી હતી. આ મુદ્દાની ગુંજ રાજ્યસભામાં પણ જોવા મળી હતી. કોંગ્રેસના નેતાઓએ કેન્દ્ર સરકાર ઉપર પાકિસ્તાન સામે કઠોર કાર્યવાહી કરવાની માંગ કરીને ધાંધલ ધમાલ મચાવી હતી જેથી લોકસભાની કાર્યવાહી મોકૂફ કરવી પડી હતી. લોકસભામાં કાર્યવાહી શરૂ થતાંની સાથે જ કેટલાક પક્ષોના નેતાઓએ બજેટને લઇને પણ નારાજગી વ્યક્ત કરી હતી. ટીડીપીના સભ્યોએ બજેટમાં આંધ્રપ્રદેશને કંઇ ન મળતા તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં વિસ્ફોટક સ્થિતિનો મુદ્દો ચમક્યો હતો. સામ સામે આક્ષેપબાજીનો દોર ચાલ્યો હતો. અત્રે નોંધનીય છે કે, સરહદ ઉપર હાલ પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે. ગઇકાલે પાકિસ્તાને ગોળીબાર કરવાની સાથે સાથે નાની મિસાઇલો પણ ઝીંકી હતી. જેમાં સેનાના ૨૩ વર્ષીય કેપ્ટન કપિલ કુન્ડુ પણ ત્રણ જવાન સાથે શહીદ થયા હતા. પાકિસ્તાને એન્ટી ગાઇડેડ મિસાઇલો પણ ઝીંકી હતી. તેનો ઉપયોગ બંકર ફંુકી મારવા માટે કરવામાં આવે છે. પાકિસ્તાની સેના દ્વારા આ દુસાહસ કરવામાં આવ્યા બાદ ભારતીય સેના જવાબી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. ફાયરિંગને ધ્યાનમાં લઇને સેનાએ સરહદી વિસ્તારોમાં ૮૪ સ્કુલોને ત્રણ દિવસ માટે બંધ કરી દેવાના આદેશ જારી કરી દીધા છે. જમ્મુ કાશ્મીરના ગ્રામીણ વિસ્તારોમાં સ્કૂલો બંધ થવાના કારણે શિક્ષણ વ્યવસ્થાને માઠી અસર થઇ છે. આ વર્ષે પાકિસ્તાન દ્વારા સરહદ ઉપર આ વર્ષે ૨૦૧૮માં જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને વારંવાર ગોળીબાર જારી રાખ્યો છે. ૧૮મી જાન્યુઆરીથી લઇને છઠ્ઠી ફેબ્રુઆરી વચ્ચેના ગાળામાં પુચ અને રાજોરી જિલ્લામાં અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહહ પર વારંવાર ગોળીબાર કર્યો છે. જેના કારણે સરહદી વિસ્તારમાં વ્યાપક અંધાધુંધી રહી છે.  જમ્મુ, કથુઆ, અને સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર વારંવાર ગોળીબાર કર્યો છે. જેમાં આઠ નાગરિક સહિત ૨૦ લોકોના મોત થયા છે અને ૮૦ લોકો ઘાયલ થયા પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો કોઇ ભંગ કરાયો નથી તેવો દાવો પણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો છે.

બીજી બાજુ ૨૨મી જાન્યુઆરી બાદથી આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર પાકિસ્તન તરફથી હજુ સુધી કોઇ યુદ્ધવિરામનો ભંગ કરાયો ન હતો પંરતુ આજે ફરી એકવાર અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. કારણ કે, પાકિસ્તાને ફરી એકવાર ગોળીબાર કરીને તંગદિલી સર્જી હતી. સરહદી વિસ્તારોમાં લોકોમાં વ્યાપક દહેશત પણ ફેલાઈ ગઈ હતી. ગયા વર્ષે ૭૦૦થી વધુ વખત યુદ્ધવિરામનો ભંગ કરાયો હતો.

(7:51 pm IST)