Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ગુજરાતમાં 'ભાઇ'ના પ્રકરણના ઉકેલની રાહ જોઇને બેઠેલા મંત્રીપદના દાવેદારો

જ્ઞાતિ, સિનિયોરિટી અને જિલ્લાને પ્રતિનિધિત્વના નામે પક્ષને અધ્ધર જીવે રખાશેઃ રાજ્ય સરકાર જો પરસોત્તમ સોલંકીની માગણીને સરન્ડર થશે તો અન્ય કેટલાક ધારાસભ્યો પણ મંત્રીપદની માગણી કરશે

નવી દિલ્હી તા. ૪ : ભાજપની નવી સરકારની મુશ્કેલીઓ બંધ થવાનું નામ ના લઇ રહી હોય તેમ એક પછી એક વિવાદાસ્પદ મુદ્દાઓ પડકાર બનીને ઊભરી રહ્યા છે. પહેલા નાયબ સીએમ નીતિન પટેલના પ્રકરણનો ઉકેલ લવાયો તે પછી રાજય કક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પરષોતમ કોળીએ પણ તેમનું વર્ચસ્વ જળવાય અને પાંચ ટર્મની સિનિયોરિટી પ્રમાણેનો વિભાગ આપવામાં આવે તેવી માગણી કરી છે. હવે સોલંકી પ્રકરણમાં ભાજપ શું કરે છે તેની રાહ જોઇને મંત્રી પદના દાવેદાર ધારાસભ્યો રાહ જોઇને બેઠા છે. જો સોલંકીને સફળતા મળશે તો અન્ય ધારાસભ્યો પણ મંત્રી પદ માટે માથું ઊંચકે તેવી સ્થિતિ છે.

 

ભાજપ સરકાર કામકાજ શરૂ કરે તે સાથે મંત્રી પરષોતમ સોલંકીએ પણ કોળી સમાજના નામે જાહેરમાં તેમની નારાજગી વ્યકત કરી હતી. તેમને સમજાવટના પ્રયાસો છતાં મંગળવારે પણ તેમણે મંત્રી મંડળની પહેલી જ બેઠકમાં હાજરી નહીં આપીને અને કોળી સમાજના અગ્રણીઓની બંગલે બેઠક બોલાવીને પક્ષ સામે તલવાર ખેંચેલી રાખી છે.

 

ભાજપના વર્તુળોમાં જ અંદરખાને ચાલતી ચર્ચા મુજબ સોલંકીની માગણી સામે સરકાર અને પક્ષ કેવું વલણ અપનાવે છે તેની રાહ જોઇને કેટલાક ધારાસભ્યો બેઠા છે. આ એવા ધારાસભ્યો છે જેઓ પોતાને સિનિયોરિટી અને અન્ય માપદંડના આધારે મંત્રી પદના દાવેદાર માને છે. સરકાર મત્સ્યોદ્યોગ વિભાગ ઉપરાંત સોલંકીને બીજું કોઇ ખાતુ સોંપે કે પછી વિભાગ બદલી આપે તો તુરંત ભાજપમાંથી અન્ય ધારાસભ્યો તેમના માટે મંત્રી પદની ઉમેદવારી નોંધાવી દેવા તૈયાર બેઠા છે. જેમાં પોતાના સમાજના નામે, સિનિયોરિટી મુજબ અને જિલ્લામાંથી મંત્રી મંડળમાં કોઇ  પ્રતિનિધિ નથી તેવા વિવિધ કારણો આપીને ધારાસભ્યો પક્ષ સામે મેદાનમાં ઉતરશે.

જો ભાજપ મોવડી મંડળ સોલંકી પ્રકરણમાં તેમની માગણીને સરન્ડર નહીં થાય અને કડક સંદેશો મોકલશે તો હાલ પૂરતી ધારાસભ્યોની મંત્રી પદની દાવેદારીની માગણી પર બ્રેક વાગી શકે છે.  ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં તમામ બેઠકો ફરી જીતવી અનિવાર્ય હોવાથી પક્ષને દબાણમાં રાખવાની રણનીતિ કેટલાક ધારાસભ્યો સતત કરતા રહે તેમ છે. કેટલાક ધારાસભ્યો દ્વારા મંત્રી પદની માગણી કરીને સારૂ બોર્ડ-નિગમ કે અન્ય કોઇ હોદ્દો કે સરકારમાં ફાઇલો લઇને જાય તો કામ થઇ જાય તેવી પણ વ્યૂહ રચના હોવાની વાત ચાલી રહી છે.

(11:09 am IST)