Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

રામદેવે કહ્યું કોંગ્રેસમાં ફૂટ ન પાડવી જોઇએઃ દેશમાં સક્ષમ વિપક્ષ હોવો પણ ઘણો જરૂરી

કોંગ્રેસ ઇચ્‍છે તો પતંજલિ આવીને રહી શકે અમે તેમને યોગ પણ શીખવાડીશું અને તેમની અંદરના મતભેદો પણ દૂર કરીશું

નવી દિલ્‍હી તા. ૩ : ઉત્તર પ્રદેશના મુરાદાબાદ પહોંચેલ યોગ ગુરૂ બાબા રામદેવે નેચરોપથી સેન્‍ટરનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમ્‍યાન કોંગ્રેસમાં ચાલી રહેલ આંતરિક ઘમાસાણને લઈને બાબા રામદેવે નિવેદન કર્યું છે. તેમણે જણાવ્‍યું છે કે દેશમાં એક સક્ષમ વિપક્ષ હોવો ઘણો જ જરૂરી છે. કોંગ્રેસમાં આંતરિક ખટરાગ છે તેના માટે પ્રાર્થના કરું છું. લોકશાહી વ્‍યવસ્‍થા માટે તે યોગ્‍ય નથી

યોગ ગુરુ બાબા રામદેવે નેચરોપથી સેન્‍ટરનું નિરીક્ષણ કર્યા બાદ વૃક્ષારોપણ કર્યું હતું.તેમની સાથે આચાર્ય બાલકૃષ્‍ણ પણ હાજર રહ્યા હતા.

અહીં આવેલ લોકોને યોગ માટે જાગૃત કર્યા હતા. તો કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલા ઘમાસાણને લઈને તેમણે જણાવ્‍યું હતું કે કોંગ્રેસમાં ફુટ ન પાડવી જોઈએ, દેશમાં એક સક્ષમ વિપક્ષ હોવો પણ ઘણો જ જરૂરી છે. તેમણે કહ્યું કે જો કોંગ્રેસ ઈચ્‍છે તો પતંજલિ આવીને રહી શકે છે. અમે તેમને યોગ પણ શીખવાડીશું અને તેમની અંદરના મતભેદો પણ દૂર કરીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને લેફટએ ઇન્‍ડિયન સેક્‍યુલર ફ્રન્‍ટ એટલે કે પીરજાદા અબ્‍બાસ સિદ્દીકીની પાર્ટી સાથે ગઠબંધન કરી લીધું છે. કોંગ્રેસના આ નિર્ણય પર પાર્ટીના પોતાના જ નેતા આનંદ શર્માએ સવાલો ઉઠાવ્‍યા છે. જેના બાદ પાર્ટી બે જૂથમાં વેચાઇ ગઈ છે અને બંને જૂથો એકબીજા પર વાર-પલટવાટ કરી રહ્યા છે.

યોગ ગુરુ બાબા રામદેવે જણાવ્‍યું કે દેશભરમાં એક હજારથી વધુ પતંજલિ વેલનેસ સેન્‍ટર ખોલવામાં આવી રહ્યા છે જેમાં યોગ, આયુર્વેદ નેચરોપથી, યોગ ચિકિત્‍સાથી લઈને ૧૦૦ જેટલી થેરાપીનો પ્રયોગ કરીને ગંભીર બીમારીઓની સારવાર કરવામાં આવશે. તેમણે જણાવ્‍યું કે સુગર, થાઇરોઇડ, બ્‍લડ પ્રેસર જેવી જિનેટિક બીમારીઓ છે, પરંતુ યોગ દ્વારા આ જિનેટિક બીમારીઓની ચેઇન તોડી શકાય છે.

(11:50 am IST)