Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી ભૂલ ખરી પરંતુ ત્યારે જે બન્યું અને આજે જે થઇ રહ્યું છે એમાં મૂળભૂત તફાવત: રાહુલ ગાંધી

પાર્ટીએ ક્યારેય ભારતના બંધારણીય માળખા સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કર્યો નથી: રાહુલ ગાંધીએ યુએસની કોર્નેલ યુનિવર્સિટીના પ્રોફેસર અને અર્થશાસ્ત્રી કૌશિક બાસુ સાથે વાત કરી

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા યુએસની કોર્નેલ યુનિવર્સિટીના પ્રોફેસર અને અર્થશાસ્ત્રી કૌશિક બાસુ સાથે વાત કરી હતી.

રાહુલ ગાંધીએ આ સમય દરમિયાન પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના શાસન દરમિયાન લાદવામાં આવેલી કટોકટીને એક ભૂલ હોવાનું સ્વીકાર્યું હતું, તેમણે આ ઇમરજન્સી ખોટી હોવાનું સ્વીકાર્યું હતું. તેમણે કહ્યું, કટોકટી દરમિયાન જે બન્યું તે ખોટું થયું પરંતુ સાથે એમ પણ કહ્યું હતું કે ત્યારે જે બન્યું હતું તેમાં અને આજે જે બની રહ્યું છે તેમાં મૂળભૂત તફાવત છે.

   રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય ભારતના બંધારણીય માળખા સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કર્યો નથી. તેમણે કહ્યું કે અમે જે પણ રીતે બનેલા છીએ, તેણે અમને આની મંજૂરી આપી નહીં. જો અમે તેમ કરવા પણ માંગતા હોત, તો પણ અમે તે કરી ન શકત. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે આરએસએસ મૂળભૂત રીતે કંઇક અલગ કરી રહ્યું છે.

  રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ સંસ્થાઓમાં પણ પોતાના લોકોને ગોઠવી રહ્યા છે. ભલે આપણે ચૂંટણીઓમાં ભાજપને પરાજિત કરીએ, પણ આપણે આંતરિક બંધારણમાં તેમના લોકોથી છૂટકારો મેળવી નથી શકવાના.

 કૌશિક બાસુ એક જાણીતા અર્થશાસ્ત્રી છે જેમણે રાહુલ સાથે ચર્ચામાં ભાગ લીધો હતો. તેઓ વર્ષ 2012 થી 2016 સુધીમાં વર્લ્ડ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી રહ્યા છે. તેમણે ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે પણ કામ કર્યું છે.

   રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મણિપુરના ભાજપના 12 ધારાસભ્યોને 2018 માં અયોગ્ય જાહેર કરવામાં આવવા જોઈતા હતા. તેમણે કહ્યું કે હવે ભારતના ચૂંટણી પંચે કહ્યું છે કે તેની સૂચના મણિપુરના રાજ્યપાલને પહેલેથી જ આપવામાં આવી હતી પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપને બચાવવા રાજ્યપાલનો ઉપયોગ કરવો સંપૂર્ણપણે ગેરબંધારણીય છે.

(12:36 am IST)