Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

એટલાન્‍ટામાં ગોકુલધામ હવેલી માટે ‘‘જગદ્‌ગુરૂ સત્‍સંગ હોલ''ના નિર્માણ માટે ટેનસી નિવાસી ગુજરાતી પરિવારનું ૫,૦૦,૦૦૦/- ડોલરનું દાન

એટલાન્‍ટામાં પુષ્‍ટિમાર્ગીય હવેલીના નિર્માણનો સંકલ્‍પ લીધા પછી પ્રભુની કૃપાથી અનેક અવરોધોને દૂર કરી, બહોળા વૈષ્‍ણવોના સમુદાયના મનોરથ સ્‍વરૂપે ષષ્‍ઠ પીઠાધિશ્વર પૂ.પા.ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી (વડોદરા)ની કાનીથી શ્રી ગોવર્ધનધર પ્રભુ તથા શ્રી કલ્‍યાણરાય પ્રભુ ગોકુલધામ હવેલીના નિજ મંદિરમાં પધાર્યા જેનો આનંદ અદ્‌ભુત અને અલૌકિક છે. અનેક મનોરથીઓના સહયોગ અને સહાયથી આ સંકલ્‍પનો સિધ્‍ધ કરી શક્‍યા છે તેનો ગોકુલધામ હવેલીને ગૌરવ છે.

પ્રભુ પધારે એટલે કૃપાની વર્ષા તો થતી જ રહેવાની. વૈષ્‍ણવી સૃષ્‍ટિનો સહયોગ તો સાંપડતો રહેવાનો અને બીરાજમાન શ્રી ઠાકોરજીના તત્‍સુખ માટે સહયોગી વૈષ્‍ણવો જોડાતા રહેવાના.

આવા એક અદના વૈષ્‍ણવ સેવકનો સહયોગ પ્રાપ્ત થયો છે. જેમાં ખરેખર કૃપા શ્રી ઠાકોરજીની અને અનુગ્રહ શ્રી વલ્લભનો છે.

શ્રી હર્ષદભાઇ શાહ, શ્રીમતી ઉલ્‍કાબેન શાહ અને તેમના પવિારે આ દાનના પ્રવાહમાં જોડાવવાનો અનેરો સંકલ્‍પ કર્યો. ગોકુલધામ હવેલીના નિર્માણ સાથે જગદ્‌ગુરૂ શ્રીમદ્‌ વલ્લભાચાર્યજીના નામાભિધાન ‘‘જગદ્‌ગુરૂ કોમ્‍યુનીટી હોલ '' નું નિર્માણ કરવાનું આયોજન છે જયાં વૈષ્‍ણવો એકત્ર થઇને સત્‍સંગ સ્‍વાધ્‍યાયની ધાર્મિક પ્રવૃતિ સાથે ઉત્‍સવ-મહોત્‍સવ કરી શકે તથા પારિવારીક પ્રસંગોના આયોજનોની દિવ્‍ય સગવડો વૈષ્‍ણવો માટે ઊભી કરી શકાય તદઉપરાંત અનેકવિધ અન્‍ય પ્રવૃતિઓ કરીને વેષ્‍ણવ સમૂહમાં સામાજીક એકતા, ધાર્મિક સંવાદિતતા સ્‍થાપિત કરી પુષ્‍ટિમાર્ગના પ્રચાર-પ્રસાર સાથે લોકોનો સામાજીક અને સાંસ્‍કૃતિક વિકાસ કરી શકાય એવી ભાવના રાખવામાં આવી છે. આ વિશિષ્‍ટ લક્ષ્યને પુરૂ કરવા શ્રી હર્ષદભાઇ તથા પરિવારે પોતાની ઉદાત્ત ભાવનાથી ૫,૦૦,૦૦૦ ડોલરનું દાન જાહેર કર્યુ.

ભારતના ગુજરાતમાં આવેલા તારાપુર નિવાસી શ્રી હર્ષદભાઇ શાહ તથા શ્રીમતી ઉલ્‍કાબેન શાહ બન્‍ને ધાર્મિક વૃતિ ધરાવનાર વૈષ્‍ણવો છે. માતા-પિતાના વારસામાં પ્રાપ્ત થયેલા પારિવારીક સંસ્‍કારોને ઉજાગર કરી પરદેશમાં રહીને પણ ભારતીય સંસ્‍કૃતિને વરેલા છે અને પોતાના બાળકોને પણ એ જ માર્ગે દોરેલા છે. તેઓ એટલાન્‍ટામાં આવેલા ટેનસીના ચટનુગામાં રહેતા એક મનોરથી છે. તેઓ ગોકુલધામ હવેલીના નિર્માણનું સ્‍વપ્‍ન જોનારા વૈષ્‍ણવોમાં એક સેવક છે. ‘‘Charity begins at home'' ના સૂત્રને વરેલા શ્રી હર્ષદભાઇએ ૫,૦૦,૦૦૦/- ડોલરનું દાન જાહેર કર્યુ જેનાથી બીજા વૈષ્‍ણવોને પણ પ્રેરણા મળી. આ ઉપરાંત આ ભગીરથ કાર્યમાં ઉત્‍સાહપૂર્વક જોડાવવા સૌને નિવેદન કરે છે. ગોકુલધામ હવેલી માટે એમના આ સહયોગથી અમે સૌ ગદ્‌ગદ્‌ થઇ ઋણની લાગણી અનુભવીએ છીએ અને બીજાઓને આ ઇશ્વરીય કાર્યમાં જોડાવવા પ્રોત્‍સાહિત કાર્ય તે બદલ ગૌરવ સાથે આભાર વ્‍યક્‍ત કરતા આનંદની અનુભુતિ અનુભવીએ છીએ.

એમના આ ઉદાત્ત કાર્ય બદલ પ્રભુ સદાય એમના તથા પરિવાર ઉપર કૃપાપાત્ર બન્‍યા રહે એવી ભાવના સહ પ્રભુ ચરણોમાં સમર્પિત આમીર શુભાભ્‍યર્થના.

ગોકુલધામ હવેલી એટલાન્‍ટાના અહેવાલ થકી શ્રી તેજસ પટવાની યાદી જણાવે છે.

(11:05 pm IST)