Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

દૂધની અછતના કારણે દૂધના પાઉડરનો ભાવ આસમાને

પહેલાં ૧૨૫-૧૫૦ રૂપિયાના પ્રતિકિલો મળતો દૂધનો પાવડર હાલમાં ૩૨૫ રૂપિયા પર પહોંચી ગયો છે

મુંબઇ,તા. ૨:  મહારાષ્ટ્ર સહિત દેશભરમાં હાલમાં દૂધની અછતના કારણે દૂધનો પાવડર અને બટરનો ભાવ આસમાને પહોંચ્‍યા છે. પહેલાં ૧૨૫-૧૫૦ રૂપિયાના પ્રતિકિલો મળતો દૂધનો પાવડર હાલમાં ૩૨૫ રૂપિયા પર પહોંચી ગયો છે, જયારે બટરનો ભાવ ૪૫૦ રૂપિયા થઇ ગયો છે. શહેરની મોટા ભાગની દૂધની ડેરીઓ દૂધની અછતનો સામનો કરી રહી છે. આ ડેરી તેમના દૂધનું દૈનિક વિતરણ જાળવવા માટે ઊંચા ભાવે દૂધનો પાવડર અને બટરની ખરીદી કરી રહ્યાં છે. રાજયમાં સામાન્‍ય રીતે દૈનિક આશરે દોઢ કરોડ લિટર દૂધનું ઉત્‍પાદન થાય છે, જેમાં એક કરોડ વીસ લાખ લિટર દૂધ વિવિધ ડેરી, સંઘ પાઉચ પેકિંગના માધ્‍યમ દ્વારા વિતરણ કરવામાં આવે છે.

જયારે બાકીનું દૂધ અન્‍ય પાવડર બનાવતા ઉત્‍પાદકો દ્વારા વાપરવામાં આવે છે. રાજયમાં ઉનાળાના કારણે છેલ્લા ત્રણ મહિના દરમિયાનમાં દૂધના ઉત્‍પાદનમાં ૧૫થી ૨૦ ટકાની એટલે કે આશરે ૩૦ લાખ લિટરનો ઘટાડો થયો છે. તેના કારણે દિવસેને દિવસે દૂધની અછત ઘેરી બનતી જઇ રહી છે. તે અંતર્ગત તમામ દૂધ સંદ્યો દૂધ પાવડર અને બટરની ખરીદી તરફ વળ્‍યા છે. રાજયમાં દર વર્ષે આ સમયે દૂધ સંઘો પાસે અઢીથી ત્રણ હજાર મેટ્રિક ટન પાવડરનો જથ્‍થો જમા હોય છે, પરંતુ હાલમાં પાવડર અને બટરનો જથ્‍થો ઓછો હોવાના કારણે એનસીડીએફઆઇની વેબસાઇટ પર દૂધના પાવડરનો ભાવ ૩૨૫ રૂપિયા જેટલો અને બટરનો ભાવ ૪૫૦ રૂપિયા છે. 

(11:24 am IST)