Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ઘરમાં ઝઘડો થયો તો વ્‍યક્‍તિએ પોતાની રેન્‍જ રોવર કાર પોતાના જ પરિવારના ૩ સભ્‍યો પર ચડાવીઃ એકનું મોત

પંજાબમાં આ કેવું ગાંડપણ ?

 

 

મોહાલી, તા.૨: પંજાબના મોહાલીમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્‍યાં એક યુવક પોતાના જ પરિવારના લોહીનો તરસ્‍યો બની ગયો હતો. હકીકતમાં મોહાલીના મનૌલી ગામમાં એક યુવકે ગુસ્‍સામાં પોતાના જ પરિવારના ત્રણ સભ્‍યો પર કાર ચડાવી દીધી હતી. આ દર્દનાક ઘટનામાં આરોપીના પિતરાઈ ભાઈ રણજીત સિંહ (૪૦)નું હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્‍યું હતું. આરોપીની ઓળખ મનૌલી ગામના રહેવાસી દેવેન્‍દ્ર (૨૭) તરીકે થઈ છે. ઘટના બાદથી આરોપી ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે.

હકીકતમાં, બલજીત સિંહે પોલીસને ફરિયાદ આપી છે કે તેનો પરિવાર કાકા-તાયાના પરિવાર સાથે સંયુક્‍ત રીતે રહે છે. તેના કાકાના પુત્ર દેવેન્‍દ્ર સાથે પારિવારિક ઝઘડો થયો હતો. તે ગુસ્‍સે થઈ ગયો અને તેની રેન્‍જ રોવર કાર લઈને ઘર છોડવા લાગ્‍યો. આ જોઈને તેનો ભાઈ રણજીત સિંહ, કાકા જરનૈલ સિંહ, દેવેન્‍દ્રની માતા મનજીત કૌર (કાકી) તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પછી તેમને ડરાવવા માટે તેણે ઝડપથી કાર તેમની તરફ ફેરવી.

બલજીતના કહેવા પ્રમાણે, કાર અથડાયા બાદ તેઓ બધા જમીન પર પડ્‍યા હતા અને તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્રણેયને મોહાલીના ફેઝ-૮ સ્‍થિત ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્‍યા હતા, જ્‍યાં ડોક્‍ટરોએ રણજીત સિંહને મળત જાહેર કર્યા હતા. પોલીસના જણાવ્‍યા અનુસાર, આરોપી ઘટના સમયથી ફરાર છે અને આરોપીની માતા પણ આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ છે. હાલ તેઓ ખાનગી હોસ્‍પિટલના ICUમાં સારવાર હેઠળ છે. તે જ સમયે, તેના કાકા જરનૈલ સિંહની સ્‍થિતિ સારી છે. હોસ્‍પિટલમાંથી સારવાર બાદ તેને ઘરે પરત મોકલી દેવામાં આવ્‍યો છે.

(11:10 am IST)