Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ધો.૧૦-૧૨ની પરીક્ષા લેવાશેઃ નીચલા વર્ગને માસ પ્રમોશન

નવા શૈક્ષણિક સત્ર પહેલા શાળાઓ ખુલે તેવી શકયતા નથીઃ નવા સત્રથી શાળાઓ શરૂ કરવા સરકાર વિચારે છેઃ દિવાળી પછી કોરોનાએ માથુ ઉંચકતા સરકારને ફેરવિચારણાની ફરજ પડીઃ સરકાર હજુ શાળાઓ શરૂ કરવા માંગતી નથીઃ સ્થિતિ નહિ સુધરે તો બોર્ડની પરીક્ષા પણ પાછળ ઠેલાઇ શકે છે

નવી દિલ્હી, તા.૧: દિવાળીના તહેવાર બાદ કોવિડ-૧૯ કેસોમાં વધારો થતાં, રાજય સરકારને અગાઉ ૨૩મી નવેમ્બરથી ફરીથી શાળાઓ શરુ કરવાના પોતાના નિર્ણયને મુલતવી રાખવાની ફરજ પડી. સરકાર હવે આગામી શૈક્ષણિક સત્રથી ફરીથી શાળાઓ શરુ કરવા અંગે વિચારણા કરી રહી છે.

બીજી મહત્વપૂર્ણ વાત કરીએ તો, સરકાર નીચલા વર્ગના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાના પ્રસ્તાવ પર સક્રિયપણે વિચાર કરી રહી છે. જો કે, ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના બોર્ડની પરીક્ષાઓ પ્રોટોકોલ સાથે લેવામાં આવશે તેવી શકયતા છે.

રાજયના શિક્ષણ વિભાગના મુખ્ય સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજયભરમાં કોરોનાના કેસોમાં વધારો થતાં આ શૈક્ષણિક વર્ષમાં શાળાઓ ફરીથી ખોલવા અંગે રાજય સરકારની કોઈ યોજના નથી. 'આવી પરિસ્થિતિઓની વચ્ચે સરકાર ફરીથી શાળાઓ ખોલવાના કોઈપણ પ્રસ્તાવ પર વિચાર કરવા માટે તૈયાર નથી', તેમ અધિકારીઓએ કહ્યું હતું. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડીયા જણાવે છે.

'શહેરો નગરો અને ગ્રામીણ વિસ્તારોમાં કોવિડ-૧૯ના કેસો સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં સરકાર શાળાઓ ફરીથી શરુ કરવા અંગેના કોઈપણ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માગતી નથી. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, દિવાળી પહેલા જે કેસો હતા ત્યાં હજુ પહોંચવામાં છ અઠવાડિયાનો સમય લાગશે', તેમ અધિકારીઓએ કહ્યું હતું.

'હાલના શૈક્ષણિક વર્ષના અંત પહેલા કોવિડ-૧૯ના કેસોમાં તીવ્ર ઘટાડો થવાની કોઈ શકયતા નથી. આ શૈક્ષણિક વર્ષના અંત પહેલા રસી ઉપલબ્ધ થવાની પણ શકયતા નથી. સરકારનું કહેવું છે કે, આવતા શૈક્ષણિક વર્ષ એટલે કે ૨૦૨૧ના ઉનાળુ વેકેશન સુધી શાળાઓ ન ખોલવી જોઈએ', તેમ અધિકારીઓએ કહ્યું હતું.

વર્ષની અંતિમ પરીક્ષાઓના મુદ્દા વિશે, સરકારના મુખ્ય સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકાર પાસે પહેલાથી જ 'નો-ડિટેન્શન' પોલિસી છે. 'સરકાર માસ પ્રમોશનનો વિકલ્પ પસંદ કરી શકે છે, જયારે ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે ઓનલાઈન પરીક્ષા લેવા માટે મુકત છે. અમે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને ટેસ્ટ પેપર્સ આપીશું, જેના જવાબ તેમણે ઘરેથી લખવાના રહેશે', તેમ મુખ્ય અધિકારીએ કહ્યું હતું.

'સરકારનું મંતવ્ય છે કે, ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડની પરીક્ષાઓ કોવિડ-૧૯ના ગાઈડલાઈનનું પાલન કરીને લેવાવી જોઈએ. જો તે સમયે પણ સ્થિતિ ઠીક નહીં હોય તો બોર્ડની પરીક્ષાઓ પણ પાછળ ઠેલાઈ શકે છે', તેમ અધિકારીઓએ કહ્યું હતું.

(10:54 am IST)