Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ચીને મ્યાનમારથી બિઝનેસ હબ ચેંગદુ સુધી ટ્રેન દોડાવી

ભારતને ઘેરવા માટે ચાલાક ચીનની વધુ એક ચાલ : આ રેલ અને રોડ લાઈનની મદદથી હવે ચીનની પહોંચ બંગાળની ખાડી સુધી થઈ, તે ભારત માટે એક ખતરો

નવી દિલ્હી, તા.૧ : ભારતને ઘેરવાની નીતિના ભાગરૂપે ચીને હવે ભારતના પ્રભાવ ધરાવતા હિન્દ મહાસાગર ક્ષેત્ર સુધી પોતાની પહેલી ટ્રેન દોડાવી છે.

ચીનનો સામન લઈને આ ટ્રેન મ્યાનમાર સરહદથી છેક પશ્ચિમ ચીનના બિઝનેસ હબ ગણાતા ચેંગદુ સુધી પહોંચી છે. આ રેલ અને રોડ લાઈનની મદદથી હવે ચીનની પહોંચ બંગાળની ખાડી સુધી થઈ છે.

ચીનના મીડિયાના કહેવા પ્રમાણે સામનને ચાઈના-મ્યાનમાર પેસેજ તરીકે ઓળખાતા રૂટ પરથી ૨૭ ઓગસ્ટે ચેંગદુ પોર્ટ સુધી લાવવામાં આવ્યો છે. આ ટ્રાન્સપોર્ટ કોરિડોરમાં પહેલા સિંગાપુરથી ચીનનો સામાન આંદામન સમુદ્ર થઈને માલવાહક જહાજ થકી મ્યાનમારના યંગૂન પોર્ટ પર પહોંચ્યો હતો. એ પછી રસ્તા થકી મ્યાનમાર ચીન બોર્ડર પર આવેલા ચીનના લિકાંગ શહેર પર આ સામાન પહોંચાડાયો હતો.

એ પછી સામાનને રેલવે થકી ચેંગદૂ લઈ જવામાં આવ્યો હતો. આમ ચીન હવે સિંગાપુરથી મ્યાનમારના રસ્તા પર પણ જોડાયુ છે. હિન્દ મહાસાગર સાથે દક્ષિણ પશ્ચિમ ચીનને કનેક્ટ કરવા માટે આ સૌથી આસાન રૂટ છે. ચીનનુ કહેવુ છે કે, આ રસ્તા પરથી થતી મુસાફરીમાં ૨૦ થી ૨૨ દિવસ ઓછા લાગી રહ્યા છે.

ચીન મ્યાનમારના વધુ એક પોર્ટથી પોતાના શહેર યૂનાન સુધી એક બીજી રેલવે લાઈન પણ નાંખવા માંગે છે. જોકે મ્યાનમારમાં આંતરિક અશાંતિના કારણે આ યોજનામાં વિલંબ થઈ રહ્યો છે.

ચીન પાકિસ્તાનના ગ્વાદર પોર્ટને ડેવલપ કરીને પણ હિન્દ મહાસાગર સાથે જોડાવાની યોજના પર પહેલેથી જ કામ કરી રહ્યુ છે.

મ્યાનમારની બોર્ડરથી ચીનના ચેંગદૂ શહેર સુધી ટ્રેનને પહોંચવામાં માત્ર ૩ દિવસનો સમય લાગે છે. હાલમાં ચીનની રેલવે લાઈના મ્યાનમાર સીમા સુધી આવીને ખતમ થઈ જાય છે. જેને ચીન યંગૂન પોર્ટ સુધી વિસ્તારવા માંગે છે.

જાણકારોના મતે મ્યાનમાર સુધી પહોંચેલા ચીનની પહોંચ હવે બંગાળની ખાડી સુધી થઈ ગઈ છે અને તે ભારત માટે એક ખતરો છે. ચીનના જહાજો ભવિષ્યમાં બંગાળની ખાડીમાંથી પસાર થશે. જેના થકી તે ભારતીય ટાપુઓ પર નજર રાખી શકશે.

(7:38 pm IST)