Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને તેમજ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા અને સાંસદ- ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં 1 ઓગસ્ટે 'જ્ઞાન શક્તિ દિવસ'નો રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો

સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે લોકસેવાનાં કાર્યોનું આયોજન : ૧ ઓગષ્ટે શિક્ષણના અદ્યતન સુવિધાયુક્ત શિક્ષણના લાભ - સહાય માટે રાજ્યભરમાં અંદાજે કુલ રૂ. ૩૨૩ કરોડના વિકાસ કાર્યોનો શુભારંભ

ગાંધીનગર :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારને સાત ઓગષ્ટે પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ૧ ઓગષ્ટથી ૯ ઓગષ્ટ - નવ દિવસ સુધી દરરોજ લોકસેવાના કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે.

'પાંચ વર્ષ આપણી સરકારના - સૌના સાથથી, સૌના વિકાસના' થીમ ઉપર ૧થી ૯ ઓગષ્ટ દરમિયાન ખાસ લોકસેવાના જે કાર્યો થવાના છે તે અંતગર્ત ૧ ઓગષ્ટ 'જ્ઞાન શક્તિ દિવસ' રોજ મુખ્ય મંત્રી નાયબ મુખ્યમંત્રી ,મંત્રીમંડળના સભ્યોઓ,સાંસદઓ , ધારાસભ્યોઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ,શિક્ષણ વિદો,શિક્ષકો, વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

જ્ઞાન શક્તિ દિવસ હેઠળ રાજ્યની ૧૦૦ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા ૫૧ ઉચ્ચ શિક્ષણના કાર્યક્રમો સહિત કુલ ૧૫૧ કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. ૧૩૫ કરોડના ખર્ચે ૩૬૫૮ શાળાઓના તૈયાર થયેલા ૧૨ હજાર જેટલા સ્માર્ટ ક્લાસનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું . રૂ. ૯૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૧૦૫૦ શાળાના ઓરડાઓ, રૂ. ૧૦ કરોડ ૨૬ લાખના ખર્ચે તૈયાર થયેલા ૭૧ પંચાયત ઘર, રૂ. ૪ કરોડ ૮૦ લાખના ખર્ચે નિર્માણ પામેલા ધોળકા અને નવસારી તાલુકા પંચાયતના મકાનનું લોકાર્પણ પણ કરાયું હતું . રૂ. ૩૫ કરોડના ખર્ચે નિર્મિત ૨૫૬ માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર લેબનો શુભારંભ કરાયો.

શોધ યોજના અંતર્ગત ૧૦૦૦ પીએચ.ડી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ૨૦૦૮ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય વિતરણ તેમજ નમો ઈ-ટેબલેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો . સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી હેઠળ રાજ્યની ૧૬ કોલેજો અને યુનિવર્સિટીઓ સાથે એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા,  જેનો ૧૮,૬૭૦ વિદ્યાર્થીઓને લાભ મળશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે રાજ્યના વર્તમાન અને ભાવિની જ્ઞાન શક્તિમાં વધારો થાય તે માટે ઘણા નિર્ણયો લીધા છે. જેમ કે, ધો.૬થી ૮ના વિદ્યાર્થીઓમાં લેખન, ગણન, ઉપચારાત્મક વૃદ્ધિ માટે મિશન વિદ્યા અભિયાનની શરૂ કરવાનો નિર્ણય, ડિઝીટલ એજ્યુકેશન ડેવલપમેન્ટ ફંડ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં ડિઝીટલ ક્લાસરૂમ ઊભા કરવા માટે દર વર્ષે રૂ. ૩૦ કરોડની ફાળવણી કરવાનો નિર્ણય, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત રાજ્યના તેજસ્વી તેમજ બિન અનામત હેઠળ આવતાં સામાન્ય અને મધ્યમ વર્ગના ૨૧૪૮૩૭ વિદ્યાર્થીઓને રૂ. ૮૬૭૮૩ કરોડની સહાયની ચૂકવણીનો નિર્ણય, અટલ ઈનોવેશન મિશન અંતર્ગત રાજ્યની ૧૦ શાળાઓની અટલ ટિકરિંગ લેબોરેટરી માટે પસંદગી, લેબોરેટરી સ્થાપવા પ્રત્યેક શાળાને રૂ. ર૦ લાખની સહાય આપવાનો નિર્ણય, સ્ટાર્ટઅપ ઈનોવેશન યોજના વૈશ્વિક કક્ષાએ લઈ જવા માટે રૂ. ૬૨ કરોડના ખર્ચે આઈ-હબની સ્થાપના કરવાનો નિર્ણય, ધો. ૩થી ૮ ના ૪૨ લાખ ઉપરાંત બાળકોને ગણિત વિષયની પાયાની સંકલ્પનાઓ શીખવાનો મહાવરો મળે તે માટે વિનામૂલ્યે વર્કબૂક આપવાનો નિર્ણય, ધો.૬થી ૮ના વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયની પાયાની સંકલ્પનાઓ શીખવાનો મહાવરો મળે તે માટે વિનામૂલ્યે વર્કબૂક આપવાનો નિર્ણય, લોકડાઉનમાં ઘરેઘરે શૈક્ષણિક સાહિત્ય પહોંચાડ્યું છે.

શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓની જ્ઞાન શક્તિમાં વધારો કરવા પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના શાસનના પાંચ વર્ષમાં કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. જેવા કે, બાયોટેકનોલોજી ક્ષેત્રે ગુજરાત દેશભરનું અગ્રિમ રાજ્ય બને તે માટે રાજ્ય સરકાર દ્વારા રિસર્ચ આધારિત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપનાનો નિર્ણય, એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજમાં ભારત સરકારના ઈલેક્ટ્રોનિક અને ઈન્ફર્મેશન ટેકનોલોજી વિભાગ હસ્તક National institute of Electronic and Information Technology અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે રૂ. ૬૭ કરોડના ખર્ચે સેન્ટર ફોર એક્સલેન્સ શરૂ કરવાનો નિર્ણય, ઈ-લાયબ્રેરીના નિર્માણ માટે સરકારી સંસ્થાઓ, યુનિવર્સિટીઓમાં નમો વાયફાઈ પ્રોજેક્ટ હેઠળ ૨૧૭ કોલેજો અને ૩ યુનિવર્સિટી ખાતે વાઈફાઈની સુવિધા આપવાનો નિર્ણય, માતૃભૂમિની રક્ષા-સુરક્ષા માટે પોતાના પ્રાણની આહૂતિ આપનારા કે વિકલાંગ થનારા જવાનોના સંતાનોના ઉચ્ચ શિક્ષણ માટે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાના લાભ પર્સેન્ટાઈલ કે આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય આપવાનો નિર્ણય, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત મેડીકલમાં ભણતી કન્યાઓને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધીમાંથી ૫૧૧૧ વિદ્યાર્થીઓને રૂ. ૧૧૬.૭૧ કરોડની ચૂકવણી કરી છે.

શાળા અને કોલેજના વિદ્યાર્થીઓની જ્ઞાન શક્તિ સાથે જ તેમને શિક્ષણ આપનારા શિક્ષકો પણ સમૃદ્ધ બને તે માટે પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેટલાંક અગત્યના નિર્ણયો લીધા છે. જેની માહિતી મેળવીએ તો.. ગુજરાત વ્યાવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ (પ્રવેશ નિયમન અને ફી ર્નિધારણ) અધિનિયમ, ૨૦૦૭માં સુધારા વિધેયક પસાર કરવાનો નિર્ણય, ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશનનાં એક્ટમાં સુધારો કરવાનો નિર્ણય, રાજ્યની સંસ્કૃત પાઠશાળાઓમાં પ્રધાનાચાર્ય અને અધ્યાપકોની ભરતી ટેટ કે ટાટ વિના કરવાનો નિર્ણય, પ્રાધ્યાપકો સહાયકોના પગારમાં વધારો આપવાનો નિર્ણય, રાજ્યની બિનસરકારી અનુદાનિત વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, કાયદો અને શિક્ષણ વિદ્યાશાખાની કોલેજોમાં ફરજ બજાવતા ખંડ સમયના વ્યાખ્યાતાઓના મહેનતાણાના દરમાં વધારો કરવાનો નિર્ણય, ૨૦૦ મુખ્ય પ્રશિક્ષકો અને ૩૦૦૦ પ્રશિક્ષકોને રોજગાર ભરતીના સલાહકાર તરીકે તાલીમ આપવાનો નિર્ણય, રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ માટે એક કોમન એકેડેમી કેલેન્ડરનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની જનતાની જ્ઞાન શક્તિમાં વધારો કરતા છેલ્લા પાંચ વર્ષમાં  કેટલાંક સંવેદનશીલ નિર્ણયો લીધા છે. જેમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી શાળાઓમાં બાળકો માટે રમત-ગમત અને અંગ કસરતોને લગતા સાધનોની પ્રવર્તમાન મર્યાદા રૂ. ૫૦,૦૦૦થી વધારીને રૂ. ૧ લાખ કરવાનો નિર્ણય, શિક્ષણ વધુ રસપ્રદ અને ગુણવત્તાસભર બનાવવા શિક્ષણનાં તમામ સ્તરોએ ICT આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવાનો નિર્ણય, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે ઈન્ટરનેટના જોડાણ સહિતની ઈ-લર્નિંગ આધારિત વધુ આધુનિક સ્માર્ટ શાળાઓ ખોલવાનો નિર્ણય, ઓનલાઈન પરીક્ષાઓનું આયોજન કરવા અને નોલેજ કેન્દ્રો ઊભાં કરવા માટે વધુ ૩૭ કોલેજોમાં ડિજિટલ એજ્યુકેશન લર્નિંગ (DEL) લેબ ઊભી કરવાનો નિર્ણય, વિદ્યાસાધના યોજના હેઠળ ધો.૯ની વિદ્યાર્થિનીઓને ૪૫,૦૦૦ સાયકલો આપવાનો નિર્ણય, રૂ. ૧,૦૦૦ના ટોકન દરે વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણનો નિર્ણય, રાજ્યના દરિયા કિનારાના માછીમાર, ઓ.બી.સી., એસ.સી. તથા જનરલ કેટેગરીના આર્થિક રીતે નબળા વર્ગના કુટુંબના બાળકોને સારૂ શિક્ષણ મળી રહે તે માટે વેરાવળ ખાતે નવી કોસ્ટલ આવાસી સૈનિક શાળા શરૂ કરવાનો નિર્ણય, ઈલેક્ટ્રોનિક્સ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે ત્યારે બોર્ડની પરીક્ષાઓમાં ગેરરીતી ડામવા સીસીટીવી - ટેબ્લેટ્સ દ્વારા પરીક્ષા કેન્દ્રોનું લાઈવ મોનીટરિંગ કરવાનો નિર્ણય વગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કોરોનાકાળમાં લોકડાઉન લાગુ થયા બાદ સ્કૂલ અને ટેક્નિકલ કોલેજીસના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસીસ શરૂ કરવાનો નિર્ણય હોય કે ધો.૯થી ૧૨ના વિદ્યાર્થીઓ મુખ્ય વિષયનો અભ્યાસ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની YouTube ચેનલ, BISAGના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ તથા દૂરદર્શનની DD ગિરનાર ચેનલમાં ઘરે બેઠા નિહાળી શકે તે માટે નિર્ણય હોય કે એસસી/એસટી/ઓબીસી કેટેગરીની રેસિડેન્શિયલ સ્કૂલ અને હોસ્ટેલ્સના તમામ વિદ્યાર્થીઓ જેઓ લોકડાઉન પહેલા જ હોસ્ટેલ છોડીને પોતાના ઘરે ચાલ્યા ગયા હતા, તેમના બેંક અકાઉન્ટ્સમાં ડીબીટી દ્વારા રૂ. ૧૫૦૦ની ટ્રાન્સફર કરવાનો નિર્ણય હોય કે વિદ્યાર્થીઓના માતા-પિતા/ગાર્ડિયન્સને પોતાની આર્થિક સગવડ મુજબ આગામી ૬ મહિનાની અંદર માર્ચ, એપ્રિલ અને મે મહિનાની સ્કૂલ ફી ચૂકવવાની છૂટ આપવાનો નિર્ણય હોય કે રાજ્યની સ્કૂલો વર્ષ ૨૦૨૦-૨૧ના આગામી શૈક્ષણિક વર્ષમાં ફીમાં વધારો કરી શકશે નહીં તેવો નિર્ણય હોય કે ધોરણ ૧થી ૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય હોય કે કોરોનાકાળમાં જેના માતા-પિતા મૃત્યુ પામ્યા હોય એ બાળકના ભણવાનો તમામ ખર્ચ ઉઠાવવાનો નિર્ણય હોય કે અવનવી એન્જિનિયરીંગ, મેડીકલ, આયુર્વેદ, યોગ, સંસ્કૃતના શિક્ષણ આપતી કોલેજો-યુનિ, શરૂ કરવાનો નિર્ણય હોય. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અઢળક નિર્ણયો લઈ રાજ્યની જનતાની જ્ઞાન શક્તિને સેવા-સહાય પૂરી પાડી છે.

આજે જ્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે એ જાણવું જરૂરી છે કે, રૂપાણી સરકારે વર્ષોથી સરકારી નોકરી માટે મૂકવામાં આવેલા પ્રતિબંધને દૂર કરીને રાજ્ય સરકારે યુવા શક્તિને સરકારી સેવામાં જોડી છે. પ્રવર્તમાન ૧૦ ટકા પ્રતિક્ષા યાદીનું કદ બેવડું કરીને ૨૦ ટકા કરવામાં આવ્યું છે. છેલ્લા ૪ વર્ષમાં  અંદાજે ૨ લાખ યુવક-યુવતીઓને સરકારી સેવામાં નિયુક્તિ કરવામાં આવી છે. યુવાનોને સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની તાલીમ માટે સહાય કરી છે. પ્રતિ ૨ વર્ષે નિયમિત જીપીએસસીની પરીક્ષા યોજવાનો નિર્ણય લીધો છે. આટલું જ નહીં આદિવાસી બાંધવોનું એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે આદિવાસી વિસ્તારોમાં ૪૧ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું નિર્માણ કરાવ્યું છે. ૭૬૫ જેટલી આશ્રમ શાળાઓ, આદર્શ નિવાસી શાળાઓમાં અને એકલવ્ય શાળાઓમાં ૧.૩૫ લાખ વિદ્યાર્થીઓને રહેવા-જમવાની સુવિધા ઉપલબ્ધ છે. કોઈપણ દેશ-પ્રદેશની જ્ઞાન શક્તિ અમૂલ્ય છે અને જ્ઞાન શક્તિના વિકાસ દ્વારા જ સમાજ-રાષ્ટ્રનો વિકાસ સંભવ છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના પાંચ વર્ષના શાસનમાં રાજ્યની જ્ઞાન શક્તિમાં વધારો કરતા લીધેલા કેટલાંક નિર્ણયો ખૂબ જ ઉમદા છે.

(3:57 pm IST)