મુસાફરીને લઈને અમેરિકાએ જાહેર કરી નવી ગાઇડલાઇન
નવી દિલ્હી: દુનિયામાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકાએ હવે દુનિયા માટે પોતાના દરવાજા ખોલી દીધા છે. અમેરિકાના જો બાઈડેન પ્રશાસને સોમવારે નવી ટ્રાવેલ ગાઈડલાઈન જાહેર કરી છે જે હેઠળ ઘણા નવા નિયમોની માહિતી આપવામાં આવી છે. વ્હાઈટ હાઉસના જણાવ્યા મુજબ દિશાનિર્દેશમાં યુએસથી બહાર રહેતા અમેરિકી નાગરિકો માટે રાહતનો નિર્ણય લેવામાં આવ્યો છે. વળી, અમેરિકા આવવા ઈચ્છુક પરંતુ 10 ટકાથી ઓછુ રસીકરણ કરનાર દેશોના નાગરિકો માટે જરૂરી સૂચના જાહેર કરવામાં આવી છે. આવા દેશના નાગરિકોએ યાત્રાનુ વાજબી કારણ જણાવવુ પડશે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારીથી અમેરિકાની સ્થિતિ દુનિયામાં સૌથી દયનીય થઈ ગઈ હતી. મહામારીના કારણે ત્યાં 7 લાખથી પણ વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. આ દરમિયાન પોતાના નાગરિકોનુ ઝડપથી રસીકરણ કર્યા બાદ હવે બાઈડેન સરકાર દુનિયા માટે પણ યુએસના દરવાજા ખોલી દીધા છે. ગાઈડલાઈન મુજબ અમેરિકાથી બહાર રહેતા પોતાના નાગરિકોને સૂચિત કરીને બાઈડેન સરકારે કહ્યુ કે જો તેમણે વેક્સીનનો ડોઝ ન લીધો હોય અને દેશમાં પાછા આવવા માંગતા હોય તો યાત્રાના એક દિવસ પહેલાનો કોરોના નેગેટીવ રિપોર્ટ બતાવવો પડશે.