સમુહમાં ગાવાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે
નવી દિલ્હી તા. ર૩ :.. સંગીત મૂડ સુધારવામાં અને મગજને સક્રિય કરવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે એવું તો અનેક અભ્યાસોમાં કહેવાયું છે. જો કે જયારે તમે સમુહમાં ગાઓ છો ત્યારે વધુ ખુશી મળે છે અને માનસીક સ્વાસ્થ્ય સુધરે છે એવું બ્રિટનની યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એન્ગ્લિયાના નિષ્ણાતોનું કહેવું છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે જે લોકો કમ્યુનિટી સિન્ગિંગમાં અવાર નવાર ભાગ લે છે તેમનું માનસીક સ્વાસ્થ્ય સારું જળવાય છે. જો વ્યકિત એન્ગ્ઝાયટી અને ડીપ્રેશન જેવા લક્ષણો અનુભવતી હોય તો સમુહગાનથી માનસીક સ્વાસ્થ્યમાં નોંધનીય સુધારો થઇ શકે છે. વ્યકિત મનથી ખુશ અને પ્રફુલ્લિત રહે એ માટે સોશ્યલાઇઝીંગ બહુ જ મહત્વનું છે. એટલે જે લોકો સમુહમાં ગાય છે તેઓ સ્વાભાવિકપણે સમાજમાં હળવા-ભળવાની બાબતમાં પણ સારા હોય છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે નિયમિતપણે સમુહગાન કરવાની આદત છ મહિના સુધી જાળવી રાખનારાઓમાં મેન્ટલ ડીસ ઓર્ડર્સનાં લક્ષણોમાં ઘણો જ સુધારો જોવા મળ્યો હતો.