ગુજરાત
News of Saturday, 31st October 2020

દિવાળીએ વિદેશને બદલે ઘરેલુ પર્યટન સ્થળોની પસંદગી સ્ટેચ્યુ ઓફ યુનિટ, કચ્છનું રણ, ગીરમાં રહેશે ધસારો

ગાંધીનગર : કોરોના મહામારીના લીધે આ વખતે ગુજરાતના પર્યટકો દિવાળી પર વિદેશને ઘરેલુ પર્યટન સ્થળોએ જવાનું પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટછ, કચ્છના રણ અને ગીરના અભ્યારણમાં પ્રવાસીઓનો ઘસારો રહેશે. તો ઘણાં પર્યટકો ગુજરાતની નજીકના રાજસ્થાનના જયપુર, ઉદયપુર, જેસલમેર જવાની ગણત્રીમાં છે. આ પર્યટકો બસ અને ટ્રનને બદલે પોતાના ખાનગી વાહનોમાં પ્રવાસની મજા લેશે.

ગુજરાતમાં સામાન્ય રીતે દિવાળી પછી ચારથી પાંચ દિવસ સુધી ધંધો બંધ કરીને લોકો વિદેશ અથવા દેશમાં ગોવા, કેરળ કે રાજસ્થાનમાં ફરવા જતા હોય છે. પણ આ વખતે કોરોનાનો ભય પ્રવાસીઓમાં પણ દેખાય છે. એકબાજુ વિદેશ જવા માટે ફલાઇટ નથી તો બીજી બાજુ કોરોના સંક્રમણનો પણ ભય હોવાથી પર્યટકો કોઇ જોખમ નથી લેવા માગતા એટલે ગુજરાતી પ્રવાસીઓ જાહેર વાહનોને બદલે ખાનગી વાહનોમાં ફરવાનું પસંદ કરી રહ્યા છે.

ટુર ઓપરેટરોનું કહેવું છે કે ગુજરાતમાં કચ્છ રણોત્સવ, દ્વારકા, સોમનાથ, કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણ ગીરનું સૌથી વધારે બુકીંગ થઇ રહ્યું છે. તો પાડોશી રાજ્ય રાજસ્થાના જેસલમેર, જોધપુર, જયપુર, ઉદયપુર અને કુંભલગઢ જવાનું લોકો વધારે પસંદ કરે છે. કચ્છ રણોત્સવ અને સાસણ ગીર અભયારણ્ય માટે એક હજારથી વધારે, દ્વારકા-સોમનાથ માટે ૧૫૦૦ થી વધારે અને કેવડીયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ૨૧૦૦ થી વધારે લોકોએ બુકીંગ કરાવ્યા છે.

સી પ્લેન બનશે આકર્ષણ રૂપ

આ વખતે દિવાળીની રજાઓમાં સી-પ્લેન આકર્ષણનું કેન્દ્ર બનશે. ૩૧ ઓકટોબર થી શરૂ થનારા આ સેવા માટે લોકોમાં ઘણો રોસ જોવા મળી રહ્યો છે. દેશમાં પહેલીવાર ગુજરાતમાં સી-પ્લેનની શરૂઆત થઇ રહી છે. ત્યારે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓની પૂછપરછ આવી રહી છે. એક નવેમ્બરથી રાજ્યના પર્યટક સ્થળો ખુલવાના છે તેથી પર્યટનનો ધંધો ગતી પકડે તેવી આશા છે.

(3:08 pm IST)