ગુજરાત
News of Saturday, 31st October 2020

ટ્વીન્સ દીકરાઓ 3 વર્ષના થયા બાદ યુવતીને ખબર પડી પતિ તો પહેલાથી જ પરિણીત છે

4 વર્ષ પહેલાં અંબાજી લઈ જઈ ખોખરા વિસ્તારના શખ્સે કપાળમાં સિંદૂર ભરી કુંવારો હોવાનું જણાવી પત્ની બનાવી: પરિણીત પતિ પર અંધારામાં રાખીને લગ્ન કરવાનો નેપાળી યુવતીએ લગાવ્યો આરોપ

અમદાવાદ: શહેરના ખોખરા વિસ્તારમાં એક પતિના કારસ્તાનની ઘટના ચર્ચાનો વિષય બન્યો છે. નેપાળી યુવતીને 4 વર્ષ પહેલાં અંબાજી લઈ જઈ ખોખરા વિસ્તારના શખ્સે કપાળમાં સિંદૂર ભરી કુંવારો હોવાનું જણાવી પત્ની બનાવી હતી. યુવતીએ પતિથી ટ્વીન્સ પુત્રોને જન્મ આપ્યો હતો. બન્ને પુત્ર ત્રણ વર્ષના થયા ત્યારે નેપાળી યુવતીને ખબર પડી કે, તેનો પતિ તો પરિણીત છે હાલ ખોખરા પોલીસ સ્ટેશનમાં યુવતીએ પતિ, તેની પહેલી પત્ની સહિતના સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઠગાઈ, રેપ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ નેપાળની પણ અમદાવાદમાં રહેતી પરિણીત યુવતી કાજલને(નામ બદલ્યું છે) પહેલા પતિથી મનમેળ ના રહેતા છૂટાછેડાનો કેસ ચાલતો હતો. આ દરમિયાનમાં આલાપ (નામ બદલ્યું છે) યુવતીના પરિચયમાં આવ્યો હતો. આલાપ અવારનવાર કાજલને મળવા માટે જતો હતો.પરિચય બાદ બન્નેએ અંબાજી દર્શન કરવા જવાનો વિચાર કર્યો હતો.

2016માં આલાપ અને કાજલ બન્ને અંબાજી પહોંચ્યા હતા. જ્યાં આલાપે કાજલની માંગ સિંદૂરથી ભરીને કહ્યું કે, હું કુંવારો છું અને તારા લગ્ન થયા છે. તારા પતિથી તને છૂટાછેડા અપાવ્યા બાદ હું તારી સાથે લગ્ન કરીશ. કાજલ આ સાંભળી આલાપની વાતોમાં આવી ગઈ હતી.

આ દરમિયાનમાં તે આલાપથી ગર્ભવતી થઈ હતી. આલાપે તે સમયે કાજલને જણાવ્યું કે, મારા માતા પિતા વૃદ્ધ છે. તું તારા ભાઈને ત્યાં વડોદરા રહેવા જા, હું નવું મકાન લઈશ એટલે તને બોલાવી લઈશ. ભાઈના ઘરે વડોદરા ખાતે કાજલે બે જોડિયા પુત્રોને જન્મ આપ્યો હતો.

 

તે પછી કાજલ અમદાવાદમાં આલાપના ઘરે પહોંચી હતી.આ ગાળામાં કાજલને અગાઉના પતિથી કાયદેસરના છૂટાછેડા મળ્યા હતા. જે બાદમાં આલાપે 2018માં કાજલ સાથે બે પુત્રોના જન્મ બાદ અસારવા રજિસ્ટાર ઓફિસમાં કાયદેસર લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આલાપ ફરી કાજલ અને બે પુત્રોને ફ્લેટ લઈશ ત્યારે તને લઈ જઈશ તેમ કહી નેપાળ મૂકી આવ્યો હતો.

એક મહિના સુધી આલાપએ ફોન ના ઉપાડતા કાજલ બન્ને પુત્રને નેપાળ માતાના ત્યાં મૂકી અમદાવાદ પતિના ઘરે આવી હતી. ફરી બન્ને પુત્રોને દંપતી નેપાળથી અમદાવાદ લઈ આવ્યું હતું. આલાપ બન્ને બાળકો અને પત્નીને સારી રીતે રાખતો નહીં અને ત્રાસ આપતો હોઈ કાજલે પતિ વિરુદ્ધ 2019માં ફરિયાદ કરી હતી.

2019માં બન્ને પુત્ર 3 વર્ષના થયા, ત્યારે આલાપે અગાઉ લગ્ન કર્યા હોવાનું અને તેની પહેલી પત્ની હોવાની કાજલને જાણ થઈ હતી. આથી કાજલે આલાપ વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આ વખતે આલાપે મારો ફ્લેટ હાથીજણમાં છે, ત્યાં તું રહે તેમ કાજલને જણાવ્યું અને સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ કાજલે પતિ વિરુદ્ધ ભરણપોષણનો કેસ પણ કોર્ટમાં કર્યો હતો.

આ ગાળામાં માર્ચ,2020માં હાથીજણના ફ્લેટ પર આલાપે જઇ કાજલ પર જબરજસ્તી બે વાર દુષ્કર્મ આચર્યું હતું. આમ પરિણીત હોવા છતાં કુંવારો હોવાનું જણાવી ખોટું બોલી સંતાનો પેદા કરવા માટે લગ્ન કરનાર અને બાદમાં જબરજસ્તી દુષ્કર્મ આચરનાર આરોપી પતિ વિરુદ્ધ બીજી પત્નીએ વધુ એક ફરિયાદ નોંધાવી હતી. હાલ ખોખરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(10:20 am IST)