ગુજરાત
News of Saturday, 31st October 2020

કોંગ્રેસે હંમેશા વંશવાદને, પરિવાર વાદને પ્રોત્સાહન આપ્યું : માત્ર એક જ પરિવારની પૂજા અને એક જ પરિવારનો કબજો

ખેડૂતોને હવે દિવસે વીજળી મળતાં દિવસે કામ અને રાત્રે આરામ કરશે: મોરબીમાં બે સ્થળોએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાહેરસભા સંબોધી

અમદાવાદ:રાજ્યની 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ મોરબીના વાઘપર અને શનાળા રોડ પરના શ્રીજી હોલમાં બે જાહેરસભાઓને સંબોધન કર્યું હતું. આ સભાઓમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા.

કોંગ્રેસ પાર્ટીને આડેહાથ લેતા નીતિનભાઈ પટેલે કહ્યું કે,કોંગ્રેસે હંમેશા વંશવાદને, પરિવાર વાદને પ્રોત્સાહન આપ્યું છે. માત્ર એક જ પરિવારની પૂજા અને એક જ પરિવારના સભ્યોનો કાયમ કોંગ્રેસ પર કબજો રહ્યો છે. કોંગ્રેસ પક્ષમાં જ આંતરિક લોકશાહીનો અભાવ છે. શું આવો પક્ષ દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતને મજબૂતાઇ અને સન્માન આપી શકે ? બીજી બાજુ ભાજપ (BJP)એ કાર્યકર્તાઓની પાર્ટી છે. ભાજપામાં જ નાનામાં નાનો કાર્યકર્તા રાજ્યના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધીના પદ સુધી પહોંચી શકે છે. ભાજપ એ એકમાત્ર રાજકીય સંગઠન છે. જે સંગઠનને સેવાનું માધ્યમ ગણીને સમાજસેવામાં કાર્યરત છે.

નીતિનભાઈ પટેલે અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલને કાલે તેમની જન્મજયંતી નિમિત્તે આદરાંજલી આપતા કહ્યું કે, ભારતના જુદા-જુદા રજવાડાંઓને એક કરી અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે ઐતિહાસિક કાર્ય કર્યું છે. આ ઉપરાંત આઝાદીની લડતમાં સુભાષચંદ્ર બોઝ, ડો.બાબા સાહેબ આંબેડકર, શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુખદેવ, રાજગુરુ જેવા અનેક વીરલાઓ અને સરદાર પટેલને ભૂલાવવાનું કાર્ય કોંગ્રેસે કર્યું છે. દેશને આઝાદી અપાવવામાં માત્ર ને માત્ર પંડિત જવાહરલાલ નહેરુ ને જ જશ આપીને કોંગ્રેસે શહીદ વીરોનું અપમાન કર્યું છે.

નર્મદા યોજનાનો ઉલ્લેખ કરતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે,નર્મદા યોજનાનું સપનું સરદાર વલ્લભભાઈ પટેલે જોયું હતું, પરંતુ બાદમાં કોંગ્રેસની સરકારોના ગુજરાત વિરોધી વલણ અને રાજ્યના કોંગ્રેસીઓની ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના માટેની ઉપેક્ષાના કારણે અનેક વિઘ્નો આવ્યા. ભાજપ સરકાર ગુજરાતમાં આવ્યા બાદ સ્વ. કેશુભાઈ પટેલે અને બાદમાં તત્કાલીન મુખ્યમંત્રી  મોદીએ કરેલા ભગીરથ પ્રયાસ અને મક્કમ નિર્ધારના કારણે નર્મદા યોજના સાકાર થઈ.

દેશના વડાપ્રધાન મોદીના સાતત્યપૂર્ણ પ્રયાસો અને અડીખમ સંકલ્પ શક્તિના પરિણામે ” માં નર્મદા ” ના નીર કેવડિયા કોલોની થી સુદુર છેક કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યા છે. સરદાર સાહેબ ના સ્વપ્નને સાકાર કરવાનું કાર્ય પ્રધાનમંત્રી  મોદીએ કર્યું છે.”

(9:57 pm IST)