ગુજરાત
News of Thursday, 30th June 2022

આગામી પાંચ દિવસમાં સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં છુટોછવાયો વરસાદ થશેઃ વરસાદી સિસ્‍ટમ સક્રિય થતા 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાશેઃ હવામાન ખાતાની આગાહી

અમદાવાદમાં રથયાત્રાના દિવસે ભારે વરસાદની શક્‍યતા નહિવતઃ અમીછાંટણા થઇ શકે

અમદાવાદઃ વરસાદી માહોલ વચ્‍ચે આગામી પાંચ દિવસમાં વરસાદી સિસ્‍ટમ સક્રિય થતા સૌરાષ્‍ટ્ર-કચ્‍છ અને રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં છુટોછવાયો વરસાદ થશે. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સહિત રાજ્‍યમાં વરસાદ સાથે પ્રતિ કલાક 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાશે. 1 જુલાઇ બાદ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે છે.

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 જુલાઈ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદ પડશે અને 1 જુલાઈ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. 30 જૂનથી 3 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંત ઉત્તર ગુજરાતના લોકો માટે એક ખુશખબર મળી રહ્યા છે. હવામાન વિભાગે 1 જુલાઈ બાદ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે.

હવામાન વિભાગના મતે વલસાડ, નવસારી, સુરત, દમણમાં વરસાદ પડી શકે છે. આગામી 2 દિવસ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લાવશે. એટલું જ નહીં, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં પ્રતિ કલાક 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. કચ્છ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસશે મૂશળધાર વરસાદ તો દક્ષિણ ગુજરાતના સુરત,વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદની આગાહી છે.

રથયાત્રામાં વરસાદનું મહત્વ

હવામાન વિભાગ દ્વારા રથયાત્રાના દિવસને લઈને એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. સામાન્ય રીતે રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે ત્યારે અમી છાંટણા થતા હોય છે. પરંતુ આ વર્ષે ભગવાન જ્યારે વાજતે ગાજતે નીકળશે ત્યારે વરસાદ પડશે કે કેમ તે પ્રશ્નનો જવાબ મેળવવા માટે ભક્તો અધીરા બન્યા છે. ત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે.

રથયાત્રાના દિવસે વરસાદ રહેશે કે નહીં તેને લઈને હવામાન વિભાગે એક આગાહી કરી છે. આગાહી પ્રમાણે એવું જણાવવામાં આવ્યું છે કે, રથયાત્રામાં ભારે વરસાદનું વિઘ્ન નહીં સર્જાય. પરંતુ અમી છાંટણા થઈ શકે છે. એટલું જ નહીં, અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો છવાયો અને સામાન્ય વરસાદ રહી શકે છે. તેમજ પવનની ગતિ પણ સામાન્ય રહેશે. રથયાત્રામાં વરસાદના વધામણાં થતા યાત્રાની રોનકમાં વધારો થશે.

(4:45 pm IST)