રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં થતા વિવિધ વિકાસ કાર્યોનું નિરિક્ષણ કર્યું : ભીમરાડ ખાતે આકાર પામનાર રમત-ગમત વિભાગના “હાઈ પરફોર્મન્સ સેન્ટર"ના સૂચિત સ્થળનું નિરિક્ષણ કર્યું
ડાયમંડ બુર્સની મુલાકાત લઈ, વિકાસ કાર્યો અંગે અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી, સુચનો આપ્યા. સુરત ખાતે ચાલી રહેલા પાટીદાર ગ્લોબલ બિઝનેસ સમિટ" માં હાજરી આપી, વિવિધ ક્ષેત્ર અને સમાજના લોકોને એક્યુટ થવા આહ્વાન કર્યું
ફોટો હર્ષ સંઘવી
સુરત : ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે સુરત શહેર આ વિકાસ યાત્રામાં અગ્રેસર બન્યું છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતના કેટલાક વિકાસ કાર્યોનું જાતે નિરિક્ષણ કર્યું અને અધિકારીઓ સાથે બેઠકો યોજી, આ તમામ વિકાસ કાર્યોમાં ગતિ આવે અને ખૂબ ઝડપથી લોક સુવિધાઓમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીજીની ઉપસ્થિતીમાં શરુ કરવામાં આવેલ ખેલ મહાકુંભમાં રાજ્યના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષભાઇએ વિવિધ સ્પોર્ટ્સ સંકુલો અને ખેલાડીઓને વિશ્વ કક્ષાએ પરફોર્મ કરવા ખાસ તૈયારીઓ માટે “હાઈ પરફોર્મન્સ સેન્ટર્સ” શરુ કરવાની વાત જણાવી હતી. જેના ભાગ રૂપે સુરતના ભિમરાડ ખાતે આકાર પામવા જઈ રહેલા “હાઈ પરફોર્મન્સ સેન્ટર” ના સ્થળની મુલાકાત લઈ નિરિક્ષણ કર્યું હતું. આ સમયે સુરત કલેક્ટર, સુરત મ્યુનિસિપલ કમિશ્નર, સુરત શહેર પોલીસ કમિશ્નર સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નીરિક્ષણ બાદ મંત્રીએ વિકાસ કાર્યો સંદર્ભે અધિકારીઓ સાથે ચર્ચા કરી, જરૂરી સુચનાઓ આપી હતી. ત્યારબાદ મંત્રી હર્ષ સંઘવીએ સુરતની નવી ઓળખ સમાન ડ્રીમ સીટી/ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા થઈ રહેલા વિકાસ કામોની સમિક્ષા કરી, મહત્વના સુચનો કર્યા હતા.પ્રધાનમંત્રી દ્વારા ઓનલાઈન માધ્યમથી શરુ કરાવવામાં આવેલ "ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ”માં પણ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી એ હાજરી આપી હતી. માન પ્રધાનમંત્રીએ ઉદ્યોધનમાં જણાવ્યું હતું કે પાટીદારો ખેડૂતના દિકરાઓ છે, તેમણે ખેતીને આધુનિક બનાવી, ‘એગ્રો બેઈઝ ઈન્ડસ્ટ્રી’ ઉભી કરી આ ક્ષેત્રને પણ હિરા જેવી ચમક આપવા આગળ આવવું જોઈએ". આ અનુસંધાને હર્ષ સંઘવી એ પાટીદાર સમાજને ઓર્ગેનિક ખેતી, વ્યવસાયના વિવિધ ક્ષેત્રોમાં વિકાસ અને વિવિધ યોજનાઓના ઇમ્પ્લીમેન્ટેશનમાં ભૂમિકા ભજવવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં જોયેલા સંમેલનો કે કન્વેન્શનની સરખામણીએ આ પાટીદાર ગ્લોબલ સમિટ સૌથી વધુ ભવ્ય જણાઈ આવે છે. આ એક્ઝિબિશનમાં અલગ-અલગ સમાજ અને ક્ષેત્રના અગ્રણીઓને જોડવાના અભિગમની પણ પ્રશંસા કરી શુભેચ્છાઓ આપી હતી.સંઘવી એ દરેક સમાજને એકજુટ થઈ “એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવા પહેલ કરવા જણાવ્યું. રાજ્યભરમાં જે વિકાસલક્ષી કામો થઈ રહ્યા છે તે બદલ સમગ્ર રાજ્યની જનતાને અભિનંદન પાઠવ્યા હતા.