ગુજરાત
News of Sunday, 29th January 2023

જુનીયર કલાર્કની પરીક્ષાનું પેપર ફોડનાર આરોપીની સંસ્થા પાસે JEE ની પરીક્ષાનું કેન્દ્ર

ચિંતા ઉપજાવતો ખુલાસો

ચિંતા ઉપજાવતો ખુલાસો

ગાંધીનગર:આજે જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે.વિદ્યાર્થીઓ ની લાંબા સમયની તૈયારીઓ એળે ગઈ છે.ગુજરાતમાં સરકારી પરીક્ષાનું પેપર ફોડનાર 15ની ધરપકડ કરાઈ છે. જ્યારે એકની ધરપકડ માટે ATSની ટીમ ઓડિશા પહોંચી છે. ગુજરાતના 5 અને અન્ય રાજ્યના 10 આરોપીની ધરપકડ કરાઈ છે. વડોદરાના બે આરોપી, અરવલ્લીનો એક આરોપી અને સુરતના એક આરોપીની ધરપકડ કરાઈ છે. જ્યારે એક આરોપી પશ્ચિમ બંગાળ અને એક આરોપી ઓડિશાનો છે..જ્યારે આ સિવાયના તમામ આરોપી બિહારના છે.

આ તમામ આરોપીની પૂછપરછમાં નવા અનેક ખુલાસા થઈ શકે છે. ઉલ્લેખનીય છે સાબરકાંઠાનો એક આરોપી મેડિકલ કોલેજ સાથે સંકળાયેલો છે. જ્યારે અરવલ્લીના બાયડનો કેતન બારોટ વૈભવી જીવન જીવે છે. કેતન બારોટ અમદાવાદ અને બાયડમાં કરોડો રૂપિયાની સંપતિ ધરાવે છે. ત્યારે પેપરલીક કાંડ મામલે સૌથી મોટા સમાચાર તો એ છે કે, આ આરોપીઓ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આરોપી હાર્દિક શર્મા નર્સિંગ કોલેજનો માલિક છે. આરોપી કેતન બારોટ દિશા કન્સલ્ટન્સીનો MD છે, જે અમદાવાદના નવરંગપુરામાં વિસ્તારમાં આવેલી છે. સાથે એ પણ માહિતી સામે આવી કે, આરોપી ભાસ્કર ચૌધરીની સંસ્થાને જ JEEની પરીક્ષાનુ કેન્દ્ર ફાળવાયું છે.

 

પેપર લીક કૌભાંડ મામલે સૌથી મોટા સમાચાર એ છે કે, ભાસ્કર ચૌધરીની સંસ્થામાં JEEની પરીક્ષા યોજાવાની છે. ભાસ્કર ચૌધરીની સંસ્થાને જેઈઈની પરીક્ષા માટે કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. 1લી ફેબ્રુઆરીએ રાજ્યભરમાં JEEની પરીક્ષા યોજાવાની છે. તો બીજી તરફ, ભાસ્કર ચૌધરી પેપરલીક કાંડનો મુખ્ય આરોપી છે. આવામાં ભાસ્કર ચૌધરીની સંસ્થાને સેન્ટર આપવું કેટલું યોગ્ય ગણાય.

 

આ ઘટના અનેક સવાલો ઉભા કરે છે, જેમ કેમ આવી પેપર ફોડિયા સંસ્થાને કેમ ફાળવાયું સેન્ટર? જો જુનિયર ક્લાર્કની પરીક્ષાની જેમ JEEની પરીક્ષાનું પેપર નહીં ફુટે તેની શું ખાતરી? આવી સંસ્થામાં કેન્દ્ર ફાળવવું કેટલું યોગ્ય? સંસ્થાને સીલ મારી દેવાયુ, તો હવે JEEની પરીક્ષાનું શું? આવી સંસ્થાઓમાં ક્યાં સુધી પરીક્ષાઓ લેવાતી રહેશે?

(8:51 pm IST)