ગાંધીધામ-પુરી એક્સપ્રેસની પેન્ટ્રી કારમાં આગ લાગી
મોટી રેલવે દુર્ઘટના ટળતા રાહત : (સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૯ : ગાંધીધામ-પુરી એક્સપ્રેસમાં શનિવારે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. સવારે ૧૦-૩૦ વાગ્યે આ ટ્રેનની પેન્ટ્રી કારમાં આગ લાગી હતી.ધૂમાડાના ગોટે ગોટા જોઈને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકો ગભરાઈ ગયા હતા.કેટલાક તો ચાલુ ટ્રેને નીચે કુદી ગયા હતા. સદનસીબે જ્યારે આ આગ લાગી ત્યારે ટ્રેન મહારાષ્ટ્રના નંદુરબાર સ્ટેશને પોહંચી ચુકી હતી.જેના કારણે તેની સ્પીડ ધીમી હતી.
આગ લાગી ત્યારે પેન્ટ્રી કારની સાથે સાથે ટ્રેનમાં ૨૨ કોચ હતા અને તેમાં ૧૩મો કોચ પેન્ટ્રી કારનો હતો.આગ લાગ્યા બાદ આ કોચને બાકીના ડબ્બાથી અલગ કરી દેવામાં આવ્યો હતો તેમજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. લગભગ બાર વાગ્યે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને બંને તરફથી ટ્રેનોની અવર જવર પણ શરુ કરવામાં આવી હતી.રેલવે મંત્રાલયનુ કહેવુ છે કે, આ દુર્ઘટનામાં તમામ યાત્રિકો સુરક્ષિત છે.