ભાજપે ગુજરાતને છેતર્યુ : ઉદ્યમી ગુજરાતીઓએ ગુજરાત બનાવ્યું : શકિતસિંહજી ગોહિલ
ગાંધીનગર તા. ૨૮ : રાજીવ ગાંધી ભવન ખાતે સાંસદ શક્તિસિંહ ગોહિલે પત્રકારોને કહ્યું કે, કોંગ્રેસ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસની વાત લઈને ફરી રહ્યાં છે. ગુજરાતનું ડી.એન.એ. એ ડેવલોપમેન્ટ છે. બીજા દેશોમાં જયારે હિંમત ન હતી ત્યારે આફ્રીકા અને યુરોપમાં પણ ગુજરાતીઓ કોઈપણ પ્રકારની અદ્યતન સગવડ વિના વહાણવટુ કરીને વેપાર કરતા હતા. આવા ઉદ્યમી ગુજરાતીઓએ ગુજરાત બનાવ્યું છે.
ભાજપ કહે છે કે, ગુજરાત મેં બનાવ્યું છે, અંધભક્ત કહે છે કે મેં અને મોદીએ ગુજરાત બનાવ્યું છે. હકીકતમાં તો ગુજરાતની જનતા એમ કહે છે કે ભાજપવાળા ગુજરાતને ‘બનાવી' ગયા. ભાજપે ગુજરાતને છેતર્યું છે. ગુજરાતીઓએ ગુજરાત બનાવ્યું છે.
શ્રી શક્તિભાઈએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી તેમની દરેક સભાઓમાં વેક્સિનેશનની વાત કરી રહ્યાં છે. ગુજરાતની અંદર મફત વેક્સિનેશનના નામે ખુબ જ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ભાજપે મફત વેક્સિનેશનના નામે આખા ગુજરાતને બનાવ્યું છે. આખા ગુજરાતમાં વેક્સિનેશનના નામે એક મોટુ કૌભાંડ આચરાયું છે. કરોડો રૂપિયા વેક્સિનેશનના સરકારે કંપનીઓને ચુકવી દીધા છે. જનતાએ ભાજપ પર વિશ્વાસ મુક્યો પરંતુ ભાજપે ભયમુક્ત ભ્રષ્ટાચાર કર્યો.
શક્તિસિંહજીએ જણાવેલ કે,કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે કે, આ વેક્સિનેશન કૌભાંડની હાઈકોર્ટ અથવા સુપ્રિમ કોર્ટના સીટિંગ જજ દ્વારા તપાસ કરવામાં આવે અને ગુજરાત અને દેશના દરેક લોકો પોતાનું વેક્સિનેશન ક્યારે થયું છે. તે ડેટા ઓનલાઈન જોઈ શકે તે માટે ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવે. તે તમામ ડેટા પબ્લિક ડોમિનમાં મૂકે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે,જનતાએ ભાજપ પર વિશ્વાસ મુક્યો પરંતુ ભાજપે ભયમુક્ત ભ્રષ્ટાચાર કર્યોઃ કોંગ્રેસની માગણી છે કેᅠ વેક્સિનેશન કૌભાંડની હાઈકોર્ટ અથવા સુપ્રિમ કોર્ટના સીટિંગ જજ દ્વારા તપાસ કરવામાં આવે.