ગુજરાત
News of Tuesday, 28th June 2022

ગુજરાતમાં અદાણી ગ્રુપ મુન્‍દ્રા ખાતે બે તબક્કામાં 10 લાખ ટન તાંબાનું ઉત્‍પાદન કરતો પ્‍લાન્‍ટ બનાવશે

પ્રોજેક્‍ટ માટે કંપનીએ એસબીઆઇ સહિત બેન્‍કો પાસેથી 600 કરોડ એકત્ર કર્યા

નવી દિલ્‍હીઃ અદાણી એન્‍ટરપ્રાઇઝ લિમીટેડ ગુજરાતના મુન્‍દ્રા ખાતે બે તબક્કામાં 10 લાખ ટન તાંબાનું ઉત્‍પાદન કરતુ એકમ સ્‍થાપશે. અદાણી ગ્રુપે કોપરમાં મોટુ રોકાણ કરવાની તૈયારી કરી છે. આ પ્રોજેક્‍ટ માટે કંપનીએ દેશની એસબીઆઇ તથા અન્‍ય બેન્‍કો પાસેથી 600 કરોડથી વધુ નાણા ભંડોળ એકત્રિત કર્યુ છે. કચ્‍છ કોસ્‍ટ લિમીટેડ અદાણી ગ્રુપની પેટા કંપની છે.

એશિયાના પ્રથમ અને વિશ્વના છઠ્ઠા સૌથી અમીર ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી એક નવા ક્ષેત્રમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. અદાણી ગ્રુપે કોપરમાં મોટું રોકાણ કરવાની તૈયારી કરી લીધી છે. આ પ્રોજેક્ટ માટે કંપનીએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સહિત અન્ય જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી રૂ. 6000 કરોડથી વધુ એકત્ર કર્યા છે.

2024 માં કામગીરી શરૂ થવાની આશા

અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના ડિરેક્ટર વિનય પ્રકાશે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનું સંચાલન 2024ના પ્રથમ છ મહિનામાં શરૂ થશે. આ ઉપરાંત તેમણે તેને આત્મનિર્ભર ભારત તરફનું પગલું ગણાવ્યું છે અને કહ્યું છે કે આ પ્રોજેક્ટ દેશના ઇલેક્ટ્રિક વાહન (EV) અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં મહત્વપૂર્ણ ભૂમિકા સાબિત થશે. વિનય પ્રકાશે કહ્યું કે તે વિશ્વના સૌથી મોટા કોપર રિફાઇનરી સંકુલમાંનું એક હશે.

ગુજરાતના મુન્દ્રામાં સ્થાપિત થશે યુનિટ

અહેવાલ મુજબ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટાકંપની કચ્છ કોપર લિમિટેડ એક કોપર રિફાઇનરી પ્રોજેક્ટ સ્થાપવા જઈ રહી છે. આ અંતર્ગત ગુજરાતના મુન્દ્રામાં બે તબક્કામાં વાર્ષિક 10 લાખ ટન તાંબાનું ઉત્પાદન કરતું એકમ ગુજરાતના  મુંદ્રામાં સ્થાપવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર બેન્કોએ KCLના પાંચ લાખ ટનની ક્ષમતાવાળા પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે રૂ. 6,071 કરોડની લોન મંજૂર કરી છે. અદાણી એન્ટરપ્રાઇઝે એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી છે.

ભારતીય કોપર માર્કેટમાં ત્રીજી મોટી કંપની

કચ્છ કોપર લિમિટેડ (KCL) માર્ચ 2021 માં અદાણી એન્ટરપ્રાઇઝની પેટાકંપની તરીકે અસ્તિત્વમાં આવી હતી. હવે આ સેક્ટરમાં રૂ. 6,071 કરોડના રોકાણ સાથે તે ભારતીય કોપર માર્કેટમાં ખાનગી ક્ષેત્રની ત્રીજી સૌથી મોટી કંપની બની જશે.

SBI સહિત આ બેંકો પાસેથી મળી લોન

ગૌતમ અદાણી ગ્રુપની કંપનીને લોન આપનાર સરકારી બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા (BoB), કેનેરા બેંક, એક્ઝિમ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક, પંજાબ નેશનલ બેંક (PNB) અને બેંક ઓફ મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. હજારો કરોડ રૂપિયાની ગ્રીનફિલ્ડ પ્લાન્ટના પ્રથમ તબક્કામાં વાર્ષિક 0.5 મિલિયન ટનની કોપર રિફાઇનિંગ ક્ષમતા (MTPA) માટે હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે, બે તબક્કામાં એક એમટીપીએની કુલ ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આદિત્ય બિરલા જૂથની હિંડાલ્ડો અને વેદાંત જૂથની સ્ટરલાઇટ કોપર આ ક્ષેત્રમાં સૌથી વધુ સક્રિય છે. આ સિવાય હિન્દુસ્તાન કોપર લિમિટેડ આ ક્ષેત્રની એક મહત્વપૂર્ણ જાહેર ક્ષેત્રની કંપની છે.

(5:13 pm IST)