ઓરિસ્સામાં ભગવાન જગન્નાથજીને ધરાતી મીઠાઇ ‘ખાજા'ની સુરતવાસીઓની સાથોસાથ વિદેશોમાં પણ ભારે ડિમાન્ડ
ઉનાળા અને ચોમાસાની સીઝનમાં ખવાતા ખાજા મીઠા અને તીખા બંને પ્રકારના હોય કેરીના રસ સાથે ખાઇ શકાય
સુરતઃ સુરતવાસીઓના પ્રિય ખાજા ઉનાળા અને ચોમાસાની બંને ઋતુમાં ખાઇ શકાય છે. વિદેશમાં રહેતા લોકો ઓર્ડર આપી ખાજા મગાવે છે. 25 દિવસ સુધી તે સારા રહી શકે છે. ખાજામાં મુખ્ય બે પ્રકાર મીઠા અને ખારા હોય છે. સુેરતમાં સરસિયા ખાજા વધુ ખવાય છે. ઓરિસ્સામાં જગન્નાથજીને ચઢતી એક મીઠાઇ છે. કિલોના ભાવ 500 થી 600 રૂપિયા જેટલો હોય છે.
સુરતનું જમણ અને કાશીનું મરણ કહેવત વિશ્વ પ્રખ્યાત છે. એટલે જ સુરતની દરેક ખાણીપીણી ખૂબ જ ટેસ્ટી હોય છે. કારણ છે અહીંનુ પાણી. પરંતુ સમયની સાથે સુરતની એક વાનગી વિસરાઈ રહી છે. ઉનાળા અને ચોમાસા બંને સીઝનમાં ખવાતા ખાજાને પણ આ વખતે લોકડાઉન પછીની અસર નડી ગઈ છે.
સુરતી લાલાઓ કોઈ પણ વાર તહેવાર હોય ખાવાનું છોડતા નથી. અલગ અલગ સીઝન મુજબ સુરતીલાલાઓની અલગ અલગ વાનગીઓ હોય છે. હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે લોકો કેરીના રસની સાથે ખાજાની પણ મિજબાની માણતા હોય છે. દર વર્ષે કેરીની સીઝનની સાથે ખાજાની સીઝન પણ શરૂ થઈ જતી હોય છે. સુરતીઓ ખાજાને રસ સાથે પણ ખાય છે. તો બીજી તરફ ચોમાસામાં પણ ખાજાનો ટેસ્ટ માણવાનું સુરતીઓ ભૂલતા નથી. આમ તો ખાજા એ ઓરિસ્સામાં જગન્નાથજીની ભગવાનને ચઢતી એક મીઠાઈ છે.
ખાજા મીઠા અને તીખા બે પ્રકાર ના આવે છે. સુરતમાં ખાસ કરીને સરસિયા ખાજા વધુ ખવાય છે. ખાસ કરીને આ ખાજા મેંદાના પેસ્ટમાંથી તૈયાર કરવામાં આવે છે. ચોમાસાની સીઝનમાં લોકો કેરીના રસ સાથે અથવા ખાજા પર લીબુનો રસ નાંખીને પણ ખાતા હોઈ છે. અહીં સીઝનમાં લગભગ 10 લાખનો એક દુકાનદાર ધંધો કરતો હોય છે. વિદેશોમાં પણ સુરતી ખાજાની એટલી જ ડિમાન્ડ છે. વિદેશમાં રહેતા લોકો મેલ અથવા વોટ્સએપ પર ઓર્ડર આપીને ખાજા મંગાવે છે.
ઓર્ડર મુજબ ખાજા બનાવીને 6 દિવસની અંદર પાર્સલ તેમના સુધી પહોંચી જતું હોય છે.આ ખાજા વિશિષ્ટ પ્રકારના રેપરમાં ભરવામાં આવે છે કે જેને લઈને તે 25 દિવસ સુધી સારા રહે. આ વર્ષે સાદા ખાજાની સાથે મેંગો ખાજા પણ તૈયાર કરવામાં આવ્યા છે. સાદા ખાજા નો ભાવ 440રૂ કિલો , જ્યારે મેંગો ખાજા નો ભાવ 600 રૂ કિલો રાખવામાં આવ્યો છે. તેલ તેમજ અન્ય સામગ્રીના ભાવ વધારા ના કારણે આ વર્ષે ખાજા કિલોએ રૂ 40 નો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા છતાં લોકો ખાવા માટે એટલા જ તલ પાપડ જોવા મળી રહ્યા છે. દુકાનદારો લોકોને ફ્રેશ ખાજા મળી રહે તે માટે ઓર્ડર મુજબ જ ખાજા બનાવીને આપે છે.
ખાજા સાથે ભગવાન જગન્નાથનુ કનેક્શન
ખાજા એ ઓરિસ્સામાં જગન્નાથજીની ભગવાનને ચઢતી એક મીઠાઈ છે. ભગવાનને ખાજા કેમ પ્રિય છે તે માટે એક લોકવાયકા છે. કહેવાય છે કે, ભગવાન જગન્નાથને એક ભક્તના સપનામાં આવ્યા હતા અને પોતાને કેવી વાનગી બનાવવી છે અને તે કેવી રીતે બનાવવી તે તેને સમજાવ્યુ હતું. બીજા દિવસે ભક્તે એ મુજબ ખાજા બનાવીને ધરાવ્યા હતા. બસ ત્યારથી આ રેસિપી ચલણમાં આવી.