ગાંધીનગર જિલ્લામાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 88 હજારની મતા ચોરી છૂમંતર.....
ગાંધીનગર: શહેરમાં આમ તો શીયાળા દરમ્યાન ઘરફોડ ચોરીની ઘટનાઓ વધુ બનતી હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તસ્કરો સક્રિય થઈ ગયા છે. શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આતંરે દિવસે ઘરફોડ ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે શહેર નજીક આવેલા રાયસણ ગામમાં પ્રમુખ પાર્ક વિભાગ-રમાં મકાન નં.૩ ખાતે રહેતા અને અમુલ ડેરીમાં ટ્રાન્સપોર્ટ વિભાગમાં કામ કરતાં અંકિત વિષ્ણુભાઈ પટેલ ગત શુક્રવારે તેમનું મકાન બંધ કરીને તેમના ભાઈના ઘરે પરિવાર સાથે ગયા હતા. ત્યારબાદ શનિવારે રાત્રે દસ વાગ્યે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરમાં લાકડાના દરવાજાનો નકુચો તુટેલો હતો અને ચોરી થયાનો અંદાજ આવ્યો હતો. જેથી તિજોરીમાં તપાસ કરતા તિજોરી પણ ખુલ્લી હાલતમાં જણાઈ હતી અને સામાન વેરવિખેર હતો. જેમાંથી બે સોનાની બંગડી અને રોકડ આઠ હજાર મળી ૮૮ હજારની મત્તા ચોરાઈ હતી. પરિવારજનોએ આ મામલે ઈન્ફોસીટી પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પાડવા દોડધામ શરૃ કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વધેલી ઘરફોડ ચોરીઓ ઉકેલવા માટે પોલીસે પેટ્રોલીંગ પણ વધારવાની જરૃર છે.