ગુજરાત
News of Wednesday, 27th January 2021

રાજ્યમાં ૬ કોર્પોરેશનની ચૂંટણી માટે ૭ હજારથી વધુ દાવેદારોઃ ૧ ફેબ્રુઆરીઍ ભાજપ પાર્લામેન્ટની બેઠકમાં ટિકીટ માટે ચર્ચાઃ ઉમેદવારોની પસંદગી માથાના દુઃખાવા સમાન

ગાંધીનગર :રાજ્યમાં યોજાનારી 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે પ્રદેશ ભાજપે મોકલેલા નિરીક્ષકોએ સેન્સ લીધા બાદ 7 હજારથી વધુ દાવેદારોનો આંકડો સામે આવ્યો છે. અમદાવાદમાં 192 બેઠકો માટે સૌથી વધુ 2037 દાવેદારો, સુરતમાં 120 બેઠકો માટે 1949 દાવેદારો, વડોદરામાં 76 બેઠકો માટે 1451 દાવેદારો, રાજકોટમાં 72 બેઠકો માટે 681 દાવેદારો, જામનગરમાં 64 બેઠકો માટે 543 દાવેદારો, ભાવનગરમાં 52 બેઠકો માટે 596 દાવેદારો એ ટિકિટ માગી છે.

અમદાવાદ મહાનગરપાલિકા ભાજપ (BJP) નો ગઢ રહ્યો છે અને સતત ત્રણ ટર્મથી ભાજપ સત્તા પર છે, ત્યારે વધુ એકવાર ભાજપ સત્તા જાળવી રાખવા આશ્વસ્ત છે. નવા સીમાંકનના આધારે ભાજપને ફરી એકવાર સત્તા જાળવી રાખવાનો વિશ્વાસ છે. જેના કારણે અમદાવાદમાં 5 હજારથી વધુ આગેવાનો, કાર્યકરોએ ફોર્મ ભર્યા હતા. જોકે શહેર ભાજપે તમામ નિયમો ધ્યાનમાં રાખીને ફક્ત 2037 ફોર્મને મંજૂરી આપી હતી.

અમદાવાદમાં કયા વોર્ડમાં કેટલાએ ટિકીટ માંગી

અમદાવાદમાં દરેક વોર્ડમાં સરેરાશ 43 દાવેદારોએ ટિકિટની માંગ કરી છે. સૌથી વધુ દાવેદારો કુબેરનગર વોર્ડમાં 102 અને સરદારનગર વોર્ડમાં 100 છે. જ્યારે કે, BJP માટે સૌથી નબળા ગણાતા જમાલપુર વોર્ડમાં પણ 15 દાવેદારોએ ટિકિટ માગી છે. આ ઉપરાંત બહેરામપુરામાં 27, દાણીલીમડામાં 26, ખાડીયામાં 24, સૈજપુર માં 28, સ્ટેડિયમમાં 28 અને પાલડીમાં 30 દાવેદારો એ ટિકિટ માગી છે. ભાજપના મજબૂત ગણાતા એવા નરોડા વોર્ડમાં 67, થલતેજમાં 61, બોડકદેવમાં 50 અને જોધપુરમાં પણ 50 દાવેદારોએ ટિકિટ માંગી છે.

ભાજપ અને કોંગ્રેસની ટક્કરવાળા વિસ્તારો જેવા કે, ઈન્ડિયા કોલોનીમાં 61, સરસપુર-રખિયાલમાં 57, બાપુનગરમાં 53, વિરાતનગરમાં 52 અને અમરાઈવાડીમાં 50 દાવેદારો નોંધાયા છે.

અમદાવાદમાં ઉમેદવારોની પસંદગી માથાનો દુખાવો બનશે

નિરીક્ષકોએ 2 દિવસ સેન્સ લીધા બાદ શહેર ભાજપ સાથે સંકલન બેઠક યોજી હતી. જેમાં 2037 દાવેદારોની દાવેદારી અંગે ચર્ચા થઈ હતી. અમદાવાદ શહેર સંગઠન ભાજપનું સૌથી મોટું અને સક્રિય સંગઠન છે, ત્યારે સ્થાનિક કાર્યકરો અને આગેવાનોને નારાજગી ન થાય તે રીતે ટિકિટની વહેંચણી પ્રદેશ આગેવાનો માટે માથાનો દુખાવો બનશે. શહેર ભાજપ સંગઠનમાં છેલ્લા 2 વર્ષથી સતત ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનોની નારાજગી પ્રદેશ સ્તર સુધી પહોંચી હતી. ત્યારે આ વખતે 6 ધારાસભ્યો અને 2 સાંસદોની ગેરહાજરીમાં જ સંકલન બેઠક યોજાતા ફરી વિવાદ થયો હતો. જો કે 1 ફેબ્રુઆરી એ મળનારી પ્રદેશ ભાજપ ની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં શહેર સંગઠનના હોદેદારો સાથે ધારાસભ્યો અને સાંસદો ને પણ સાંભળવામાં આવશે. તમામ દાવેદારો અને આગેવાનોએ હવે સાંસદો, ધારાસભ્યો અને શહેર હોદ્દેદારો સમક્ષ ટિકિટ માટે લોબિંગ અને દબાણ શરૂ કર્યું છે. ભાજપ પ્રમુખ સી આર પાટીલે કાર્યકરોને ટિકિટ મળે તે માટે તમામ આગેવાનોને ટકોર કરી છે ત્યારે આ વખતે જૂના અને સંનિષ્ઠ કાર્યકરોને ટિકિટ મળે તેવી આશા રાખવામાં આવી રહી છે. જે લોકો લાંબા સમયથી પક્ષ માટે કામ કરે છે તેને પ્રાથમિકતા આપવા અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડી હોય તેને પ્રાથમિકતા અપાશે.

જો કે જ્યારે ટિકિટના નામ જાહેર થશે ત્યારે જ કેટલા નિયમોનું પાલન થયું તે સ્પષ્ટ થશે. અત્યારે તો અમદાવાદ મહાનગરપાલિકા માં મિશન 172+ માટે ભાજપે કવાયત હાથ ધરી છે અને ખુદ ભાજપ પ્રમુખ સી આર પાટીલ આજે અમદાવાદમાં કાર્યકરોને સંબોધન કરશે. હવે તમામ દાવેદારોની નજર પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક પર છે. 4 ફેબ્રુઆરી બાદ ભાજપ 2 તબક્કામાં નામો જાહેર કરે તેવી શકયતા છે.

(4:38 pm IST)