નરેન્દ્રભાઇના હસ્તે ૩૦મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ક્રુઝ બોટનું લોકાર્પણ
કોરોના મહામારીના કારણે ૨૦૦ થી ૨૫૦ વાળી બોટની ક્ષમતામાં ૫૦ પ્રવાસીઓને બેસાડાશે
(ભરત શાહ દ્વારા) રાજપીપળા ,તા. ૨૬: સ્ટેચ્યુ યુનિટીમાં વધુ એક નવા મોર પિચ્છનો ઉમેરો થયો છે જેમાં ૩૦ ઓકટોબરે પી.એમ. ક્રુઝ બોટનું લોકાર્પણ કરશે આમ તો ૨૧ માર્ચના રોજ આ ક્રુઝ બોટ નું લોકર્પણ કરવાના હતા પણ કોરોના મહામારી ના કારણે તે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો એ હવે ૩૦ ઓકટોબરના રોજ પ્રધાનમંત્રી મોદી કેવડિયા આવી પહેલા જંગલ સફારીનું લોકાર્પણ કરશે.
ત્યારબાદ સ્ટેચ્યુ ખાતે બનેલ ક્રુઝ બોટની જેટી ખાતેથી ક્રુઝ બોટનું લોકાર્પણ કરશે અને ત્યાંથી બોટમાં બેસી શ્રષ્ઠ ભારતભવન ખાતે બીજી જેટી બનાવવામાં આવી છે ત્યાં સુધી વડાપ્રધાન જશે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીની આ સફર ૬ કિલોમીટરની રહેશે. જેના માટે ૩ જેટી બનાવવામાં આવી છે એક જેટી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે જયારે બીજી જેટી શ્રેષ્ઠ ભારત ભવન પાસે અને ત્રીજી જેટી સ્ટેચ્યુની બિલકુલ પાછળ હોય જે ઇમર્જન્સી જેટી છે.
જો કોઈ દુર્ઘટના બને તો આ જેટીનો ઉપયોગ કરવામાં આવશે આ ક્રુઝ બોટમાં આમ તો ૨૦૦ થી ૨૫૦ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે પણ હાલ કોરોનાના નિયમોને પગલે માત્ર ૫૦ લોકોને જ પરમિશન આપવામાં આવશે અને બોટ માં નાસ્તાની વ્યસ્થા પણ છે જે પ્રવાસીએ પોતાના ખર્ચે કરી શકશે. સાથે મનોરંજન માટેની પણ ખાસ વ્યવસ્થા બોટમાં કરવામાં આવી છે.