ગુજરાત
News of Sunday, 26th June 2022

મન કી બાતમાં PM મોદીએ કર્યો મહેસાણાની નાનકડી તન્વી પટેલનો પણ ઉલ્લેખ કર્યો

તન્વીએ મને ગુજરાતી ભાષામાં સરળતાથી પોતાના વિશે અને આ પ્રોજેક્ટ વિશે જણાવ્યુ હતું : તન્વીની જેમ દેશના અંદાજે 750 સ્કૂલના વિદ્યાર્થીઓ, અમૃત મહોત્સવમાં આવા જ 75 સેટેલાઈટ પર કામ કરી રહ્યાં છે. ખુશીની વાત એ છે કે તેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ દેશના નાના શહેરોમાંથી આવે છે.

ગાંધીનગર :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મનકી બાતના 90માં એપિસોડને સંબોધિત કર્યુ હતું. જેમાં તેમણે ઈમરજન્સીથી લઈને અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. જેમાં તેમણે મહેસાણાની નાનકડી તન્વી પટેલનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યુ કે, ઈન-સ્પેસ કાર્યક્રમ અંતર્ગત હું મહેસાણાની શાળામાં ભણતી દીકરી તન્વી પટેલને મળ્યો હતો. તે બહુ જ નાના સેટેલાઈટ પર કામ કરી રહી છે, જે આગામી મહિનાઓમાં સ્પેસમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. તન્વીએ મને ગુજરાતી ભાષામાં સરળતાથી પોતાના વિશે અને આ પ્રોજેક્ટ વિશે જણાવ્યુ હતું.

તેમણે આગળ કહ્યુ કે, તન્વીની જેમ દેશના અંદાજે 750 સ્કૂલના વિદ્યાર્થીઓ, અમૃત મહોત્સવમાં આવા જ 75 સેટેલાઈટ પર કામ કરી રહ્યાં છે. ખુશીની વાત એ છે કે, તેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ દેશના નાના શહેરોમાંથી આવે છે. આ એ જ યુવા છે, જેમના મનમાં આજથી થોડા વર્ષો પહેલા સ્પેસ સેક્ટરની છબી કોઈ સિક્રેટ મિશન જેવી હતી. પરંતુ દેશમાં સ્પેસ રિફોર્મસ કરાયુ, અને એ જ યુવા હવે પોતાના સેટેલાઈટ લોન્ચ કરી રહ્યાં છે. જ્યારે દેશના યુવા આકાશ સ્પર્શવા માટે તૈયાર છે, તો પછી આપણો દેશ કેવી રીતે પાછળ રહી શકે છે.

ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં બોપલસ્થિત IN-SPACeના મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. IN-SPACeએ અવકાશ વિભાગ હેઠળની નોડલ એજન્સી છે, જે અવકાશી સંશોધન અને વેપારક્ષેત્રે ખાનગી ઉદ્યમીઓને પ્રવેશવાની તથા આગળ વધવાની તક પૂરી પાડશે તથા તેમની સાથે સંકલન સાધશે. તે સિંગલ વિન્ડો ક્લિયરન્સની કામગીરી કરશે અને ખાનગીક્ષેત્રના ઉદ્યમીઓએ મંજૂરી માટે અલગ-અલગ વિભાગોની પાસે જવું નહીં પડે. ઈસરોની માહિતી અને પ્રૌદ્યોગિકી ઉપરાંત તેની માળખાકીય સુવિધાઓનો ઉપયોગ પણ ખાનગીક્ષેત્ર કરી શકશે.

(3:02 pm IST)