30મીએ કોરોના દર્દીઓ માટે નવનિર્માણ કિડની હોસ્પિટલ ખુલ્લી મુકાશેઃ નીતીનભાઈ પટેલની જાહેરાત
મંજુશ્રી મીલ કંપાઉન્ડ સ્થિત કિડની હોસ્પિટલમાં 400 થી વધુ બેડની સુવિધા: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મુલાકાત લઇ સમીક્ષા બેઠક યોજી
અમદાવાદમાં મંજુશ્રી મિલ કમપાઉન્ડમાં નિર્માણાધીન નવનિર્માણ હોસ્પિટલ ) કોરોના દર્દીઓ માટે 30 નવેમ્બરે ખુલ્લી મૂકાશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કિડની હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
હોસ્પિટલની સમીક્ષા બેઠક બાદ નીતીનભાઈ પટેલે જાહેરાત કરી હતી કે અમદાવાદમાં વધી રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે હેતુથી આ બિલ્ડીંગને કોવિડ દર્દીઓની સારવાર માટે 30મી નવેમ્બર સુધીમાં કાર્યરત કરવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યુ કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દિર્ઘદ્રષ્ટિના કારણે મેડિસીટી કેમ્પસમાં કાર્યરત કિડની, કેન્સર અને હ્યદયરોગની હોસ્પિટલમાં શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ થઇ છે.
જેને આગળ ધપાવવા સિવિલ મેડિસીટીનું વિસ્તૃતિકરણ કરીને મંજુશ્રી મીલ કંપાઉન્ડમાં કિડની હોસ્પિટલને કાર્યરત કરી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ બનાવવાના નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન ટૂંક સમયમા સાકાર થશે.