સુરતમાં NSUI દ્વારા શાળા કોલેજોની એક સત્રની ફી માફીની માંગણી સાથે દેખાવો
હાઈકોર્ટનો આદેશ હોવા છતાં સંચાલકો દ્વારા વાલીઓ પાસે ફીની ઉઘરાણી
સુરત :કોરોનાકાળને 6 મહિના કરતા વધુનો સમય થવા આવ્યો છે. માર્ચ મહિનાથી શાળા-કોલેજો બંધ છે. વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પહોંચી છે, તેવામાં શાળા-કોલેજો દ્વારા ઓનલાઈન અભ્યાસ તો આપવામાં આવી રહ્યો છે પણ હાઈકોર્ટના ઓર્ડર બાદ પણ ફી વસુલાત માટે સંચાલકો દ્વારા મનમાની યથાવત રાખવામાં આવી છે. આજે સુરતમાં ગાંધી પ્રતિમા પાસે NSUI દ્વારા બેનરો લઈને સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી સંગઠનની માંગ હતી કે શાળા કોલેજો દ્વારા એક સત્રની ફી માફી કરવામાં આવે.
હાઈકોર્ટનો આદેશ હોવા છતાં સંચાલકો દ્વારા વાલીઓ પાસે ફીની ઉઘરાણી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થી સંગઠનનો આક્ષેપ એ પણ હતો કે એકબાજુ વાલીઓના નોકરી ધંધા લોકડાઉનના કારણે ઠપ્પ પડ્યા છે તો બીજી બાજુ ફી બાબતે શાળા કોલેજોના ઉઘરાણીથી વિદ્યાર્થીઓની હાલત કફોડી બની ગઈ છે. તેમનું એ પણ જણાવવાનું હતું કે શાળા સંચાલકો સાથે સરકારની સાંઠગાંઠને કારણે વાલીઓનો મરો થઈ રહ્યો છે