ગુજરાત
News of Tuesday, 25th January 2022

બાયડની ઉમિયાનગર સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 85 હજારની તસ્કરી કરતા પોલીસ ફરિયાદ

હિંમતનગર: બાયડની ઉમિયાનગર સોસાયટીના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂપિયા ૮પ હજારની રોકડ, સોના-ચાંદીના ઘરેણા સહિત અંદાજી ૧ લાખથી પણ વધુની મત્તા ચોરી જતાં સોસાયટી વિસ્તારમાં ભય વ્યાપ્યો છે. જ્યારે બનાવના ૮ કલાક પછી પોલીસને તપાસ કરવાની ફૂરસદ મળી પરંતુ ફરિયાદમાં વિલંબ થયાનું જાણવા મળ્યું છે. બાયડ પોલીસે અત્યાર સુધીમાં થયેલી ૯ તસ્કરીમાંથી એકપણ ગુનાનો ભેદ ઉકેલ્યો નથી. બાયડ તાલુકાના જીતપુરના વતની અને બાયડની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા અશ્વિન પટેલ તેમના સંબંધીના ત્યાં સહપરિવાર લગ્નમાં ગયા હતા તે સમયે તેમના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ રૂ ૮પ હજારની રોકડ રકમ, સોનાની બુટ્ટી, કંદોરો સહિત અંદાજીત રુ ૧ લાખની મત્તા લઇ પલાયન થઈ ગયા હતા. પરિવાર ઘરે આવ્યો ત્યારે મકાનનું તાળું તૂટેલું જોતાં તસ્કરી થયાનું જણાઈ આવ્યું હતું. બાયડ પોલીસને જાણ કરતાં  લાંબા સમય પછી સ્થળ તપાસ માટે આવી હતી અને કોઈને ઘરમાં પ્રવેશવા ન દેવા તેવી શીખામણ આપીને રવાના થઈ ગઈ હતી.

(5:37 pm IST)