વલસાડમાં કાળા ડિબાંગ વાદળો અને ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો : ઉનાળુ પાકને નુક્શાનની ભીતિ
ધોધમાર વરસાદને લઈને શહેરના રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું
વલસાડ : શહેરમાં વહેલી સવારથી જ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આકાશમાં કાળાં ડિબાંગ વાદળો અને ધોધમાર વરસાદને પગલે લોકોને આંશિક રાહત મળી છે. જોકે આ પ્રી-મોન્સૂન એક્ટિવિટીને પગલે જિલ્લાના ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનની ભીતિ સતાવી રહી છે. ત્યારે ધોધમાર વરસાદને લઈને શહેરના રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું.
આમ અચાનક વાતાવરણમાં આવેલા અણધારા પલટા બાદ વ્યાપારીઓ અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કેરીના વેપારીઓ અને ખેડૂતોની ચિંતા વધારી છે કેમકે આ વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સર્જાઇ રહી છે. બીજી તરફ ખેડૂતોની ચિંતા વધી છે કારણકે જો ભારે વરસાદ પડશે તો ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થશે. તલ, મગ સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતાઓ છે. તો કેરી પકવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા.