ગુજરાત
News of Sunday, 24th January 2021

અમદાવાદ IIMની વિદ્યાર્થિનીના આપઘાતનું રહસ્ય ખુલ્યું :ડિપ્રેશનમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

યુવતીના મોત બાદ યુવતીના લેપટોપ, મોબાઈલની તમામ તપાસ કરાયેલ

અમદાવાદ : શહેરના આઈઆઈએમમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 25 વર્ષની બિહારની યુવતી દ્રષ્ટિ રાજ કાન્હાનીએ બે દિવસ પહેલા IIMની હોસ્ટેલમાં પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી, પરંતુ પોલીસને કોઈ સ્યુસાઈડ નોટ મળી ન હોવાથી આપઘાતનું કારણ એક રહસ્ય બની ગયું હતું. જોકે સેટેલાઈટ પોલીસ આ અંગે વધુ તપાસ કરતા યુવતીએ ડિપ્રેશનમાં આવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે

પોલીસે યુવતીના મોત બાદ યુવતીના લેપટોપ, મોબાઈલની તમામ તપાસ હાથ ધરી હતી પરંતુ તેમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. આ સિવાય યુવતીના કોલેજના મિત્રો, પ્રોફેસર વગેરેની પણ પુછપરછ કરી હતી, પરંતુ કોઈ અન્ય કારણ સામે આવ્યું ન હતું, પરંતુ એકલતાએ યુવતીનો બોગ લીધો હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું હતું. પોલીસે આ મામલે માતા-પિતાની પણ પુછપરછ કરતા જાણવા મળ્યું કે, તે કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતી, તેને એકલતા સતાવી રહી હતી, લગભગ આ કારણથી તેણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.

ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટમાં બુધવારે સાંજે 4 વાગ્યાની આસપાસ પીજીપીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી મૂળ બિહારની 25 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે સિક્યોરિટી ગાર્ડે સેટેલાઇટ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ડેડબોડી પોસ્ટમોર્ટમ કરવા સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસે યુવતીની હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ હાથ ધરી છે. પોલીસે યુવતીનો મોબાઇલ કબ્જે કર્યો હતો. પરંતુ મોબાઇલ ચાલુ કરવા પાસવર્ડ જાણવા સાયબર ક્રાઇમની મદદ લીધી છે. પરંતુ મોબાઇલ ચાલુ કરવા પાસવર્ડ જાણવા સાયબર ક્રાઇમની મદદ લીધી છે. મોબાઇલ ખુલ્યા બાદ અને કોલ ડિટેલ્સ મળે તેના આધારે કારણ મળવાની શક્યતા છે

સેટેલાઈટ પોલીસના જણાવ્યા મુજબ પોલીસે યુવતીના રૃમમાં તપાસ કરી હતી પરતું કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી. જેને કારણે યુવતીએ શા માટે આપઘાત કર્યો તે અંગે તાત્કાલિક જાણી શકાયું ન હતું. આઈઆઈએમ-અમદાવાદમાં પીજીપી કોર્સની બીજા વર્ષની વિદ્યાર્થિની દૃષ્ટિ રાજે આપઘાત કરી લેતા કેમ્પસમાં આઘાતની લાગણી ફરી વળી હતી. ગર્લ્સના ડોમ નં.૮માં પોતાના રૂમમાં દૃષ્ટિ પંખાની સાથે ફાંસો લગાવેલી હાલતમાં મળી આવી હતી. દ્રષ્ટિ અભ્યાસમાં અત્યંત તેજસ્વી હતી તો કયા કારણોસર તેને આ અંતિમ પગલુ ભર્યું તે અંગે હાલ કોઇ વિચારી રહ્યું છે. તેના પિતા નોકરિયાત અને માતા હાઉસવાઈફ છે .

(12:07 am IST)