અમદાવાદમાં કોરોનાના કેસમાં ઝડપી ઉછાળો આવતા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ વધારો
નવા 11 ઝોન ઉમેરાતા માઇક્રો કન્ટેમેન્ટ વિસ્તારની સંખ્યા 111 થઇ
અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં ઝડપી ઉછાળો અવતાનીસ સાથે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ વધારો થયો છે,શનિવારે 5 ઝોન આ યાદીમાંથી બહાર કઢાયા હતા. જ્યારે 11 નવા ઝોનને માઇક્રો કન્ટેનમેન્ટમાં સમાવેશ કરાતા આવા વિસ્તારોની સંખ્યા વધીને 111 થઇ ગઇ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન સંક્રમણ અટકાવવા લેવાતા શ્રેણીબદ્ધ પગલાંની દરરોજ સમીક્ષા બેઠક મળે છે. શનિવારે પણ રાબેતા મુજબ રાજ્યના અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાના વડપણ હેઠળ બેઠક મળી હતી.જેમાં 5 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી બહાર કરવાનો અને નવા 11 એરિયાનો ઉમેરો કરવાનો નિર્ણય લેવાયો હતો.
બહાર કઢાયેલા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં પૂર્વના બે, ઉત્તર-પશ્ચિમના બે અને દક્ષિણના એક વિસ્તારનો સમાવેશ થાય છે.જ્યારે નવા ઉમેરાયેલા 11 એરિયામાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના 3-3, દક્ષિણના 2, ઉત્તર, દક્ષિણ-પશ્ચિમ અને પૂર્વના એક વિસ્તારોનો સમાવેશ થાય છે.આ વિસ્તારો મણીનગર, ન્યુ મણીનગર, ઘોડાસર, નરોડા, જોધપુર, રાણીપ, બોડકદેવ અને ચાંદલોડિયાના છે.